(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ,
તા.13 : ગુજરાતના અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાએ માત્ર દેશમાં જ નહીં પરંતુ
વિદેશમાં પણ લોકોને હચમચાવી દીધા છે ત્યારે આજે દુર્ઘટના સ્થળની મુલાકાતે આવેલા વડા
પ્રધાન નરેન્દ્ર મોદી વિમાન દુર્ઘટનામાં ચમત્કારિક રીતે બચી ગયેલા એકમાત્ર મુસાફર રમેશ
વિશ્વાસ કુમારને મળ્યા હતા અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું હતું તેમજ તેમની સાથે
સંવાદ કર્યો હતો. હોસ્પિટલના પલંગ પર સૂતા વિશ્વાસ કુમારે કહ્યું કે, વિમાનનો જે ભાગ
મારી સીટ પર હતો તે ભાગ બિલ્ડિંગના નીચેના ભાગ સાથે અથડાયો હશે. ઉપરના ભાગમાં આગ લાગી
હતી, ઘણા લોકો ત્યાં ફસાઈ ગયા હતા. કદાચ હું સીટ સાથે નીચે પડી ગયો હતો. હું કોઈક રીતે
બહાર નીકળવામાં સફળ રહ્યો. દરવાજો તૂટેલો હતો, અને મેં સામે થોડી ખાલી જગ્યા જોઈ, તેથી
મેં બહાર નીકળવાનો પ્રયાસ કર્યો. બીજી બાજુ દીવાલ હતી, કદાચ કોઈ ત્યાંથી બહાર નીકળી
શક્યું નહીં. રમેશ વિશ્વાસે કહ્યું કે તેની નજર સામે બે એર હોસ્ટેસ, એક કાકા-કાકી અને
બધું બળી રહ્યું હતું. આ અકસ્માતમાં વિશ્વાસનો ડાબો હાથ ખરાબ રીતે દાઝી ગયો હતો, પરંતુ
તેનો જીવ બચી ગયો હતો. તે કહે છે કે બહાર આવતાની સાથે જ આગ ફેલાઈ ગઈ હતી. જો થોડી સેકન્ડ
વધુ મોડું થયું હોત તો કદાચ હું પણ બચી ના શક્યો હોત.
વધુમાં
કહ્યું કે જ્યારે ટેક ઓફ થયું ત્યારે 5-10 સેકન્ડ એવું લાગ્યું કે પ્લેન સ્ટક થઈ ગયું
છે. પછી પ્લેનમાં ગ્રીન અને વ્હાઈટ લાઈટ ઓન થઈ ગઈ ત્યાર બાદ ટેકઓફ કરવા માટે વધુ રેસ
અપાયો હોય એવું લાગ્યું. પછી સ્પીડમાં પ્લેન હોસ્ટેલના બિલ્ડિગંમાં ઘૂસી ગયું. આ બધું
મારી સામે થયું હતું. પીએમ મોદી સાથેની મુલાકાત અંગે વિશ્વાસકુમારે કહ્યું, સાહેબે
મારા હાલચાલ પૂછીને બનાવ કેવી રીતે બન્યો એ અંગે વાતચીત કરી હતી.