• શનિવાર, 14 જૂન, 2025

11-એ : વિમાનની નાપસંદ સીટે બચાવ્યો જીવ

            બોઈંગ વિમાનમાં 11 નંબરની હરોળ મુસાફરો પસંદ કરતાં ન હોવાનો એટેન્ડન્સનો દાવો

નવી દિલ્હી, તા.13 : અમદાવાદની ગોજારી વિમાન દુર્ઘટનામાં ર4રમાંથી એક માત્ર જીવિત બચી ગયેલા ભારતીય મૂળના બ્રિટીશર વિશ્વાસ કુમાર રમેશના ભાગ્યની હાલ સર્વત્ર ચર્ચા છે. બોઈંગ 787 ડ્રિમલાઈનર વિમાનની 11-એ સીટ પર તે બેઠો હતો અને આ સીટને કારણે જ તેનો જીવ બચ્યો હોવાનું મનાય છે.

સામાન્ય રીતે 11-એ નંબરની સીટ મુસાફરો પસંદ કરતાં નથી. ફલાઈટ એટેન્ડન્સે અગાઉ વિદેશી મીડિયા સાથેની મુલાકાતમાં દાવો કર્યો હતો કે 11-એ અને 11-એફ વિમાનની એવી સીટ છે જેના પર બેસવાનું મુસાફરો પસંદ કરતાં નથી. આ સીટ વિમાનના બરાબર વચ્ચેના ભાગમાં હોય છે. વિમાનમાં ચડતાં કે ઉતરતી વખતે આ સીટ પર રહેલા મુસાફરોને ખાસ્સો સમય રાહ જોવી પડે છે. આ બંન્ને વિન્ડો સીટ છે. ફલાઈટ એટેન્ડન્સ અનુસાર જો તમારે વિમાનમાંથી જલ્દી બહાર નીકળવું છે તો 11 નંબરની રોથી દૂર રહો !11-એ એટલે પણ નાપસંદ કરાય છે કારણ કે તેના પર બેસનારાને બહારનો ખાસ નજારો જોવા મળતો નથી.

 સીટ પાસેથી બારી પણ નાની હોય છે. ફલાઈટ રડાર ર4ના જાણકાર અનુસાર બોઈંગની આવી સિસ્ટમને પગલે અનેકવાર 11-એ સીટમાં બારી જ હોતી નથી. એર ઈન્ડિયાના બોઈંગ વિમાનમાં 11-એ સીટ ઉપર બેઠેલા રમેશ એક માત્ર મુસાફર છે જેમનો ચમત્કારિક બચાવ થયો હતો. રમેશના ભાઈ અજય પણ આ જ વિમાનમાં હતા પરંતુ તેઓને અન્ય જગ્યાએ સીટ મળી હતી જેમનો દુર્ઘટનામાં જીવ ગયો છે. રમેશ બ્રિટીશ નાગરિક છે અને પોતાના પરિવારને મળવા ભારત આવ્યા હતા.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક