એરક્રાફ્ટ એક્સિડેન્ટ બ્યૂરોની તપાસનો ધમધમાટ શરૂ : અમેરિકા અને બ્રિટનની તજજ્ઞ ટુકડીઓ તપાસમાં મદદ કરવા દોડી : મૃતદેહોની ઓળખ માટે ડીએનએ તપાસ ચાલુ : બ્લેક બોક્સ, ડીવીઆર મળ્યા
અમદાવાદ,
તા.13: અમદાવાદમાં દેશ અને દુનિયાને હતપ્રભ કરી દેનારી એર ઈન્ડિયાનાં વિમાનની આ સદીની
સૌથી મોટી દુર્ઘટનાનાં બીજા દિવસે ભડથું અને ક્ષતવિક્ષત થઈ ગયેલા મૃતદેહોની ઓળખ અશક્ય
બની ગઈ હોવાથી ડીએનએ મેળવણીની કામગીરી ઝડપથી ચાલી રહી છે અને જેનાં ડીએનએ મળી જાય તેવા
પરિવારોને મૃતદેહોની સોંપણીની પ્રક્રિયા પણ કરવામાં આવી રહી છે. તો બીજીબાજુ નાગરિક
ઉડ્ડયન મંત્રાલયનાં એરક્રાફ્ટ એક્સિડેન્ટ બ્યૂરો દ્વારા આ ભયાનક દુર્ઘટનાની આંતરરાષ્ટ્રીય
નિયમાનુસાર તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. દરમિયાન વિમાનનું એક બ્લેક બોક્સ
અને ડીવીઆર મળી આવ્યું છે. તેથી ક્રેશની અંતિમ ક્ષણોમાં શું બન્યું હતું તેનાં રહસ્ય
ઉપરથી પડદો હટવાની સંભાવના છે. અમેરિકાની શીર્ષ તપાસ એજન્સી નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી
બોર્ડ(એનટીએસબી) પણ ભારતની મદદ માટે આગળ આવી છે અને આ દુર્ઘટનાની તપાસમાં જોડાશે. તો
આ દુર્ઘટનામાં બ્રિટનનાં અનેક નાગરિકોએ પણ જીવ ગુમાવ્યો છે ત્યારે તપાસમાં સહયોગ માટે
યુકે એર એક્સિડેન્ટ ઈન્વેસ્ટીગેશન બ્રાન્ચ(એએઆઈબી)ની એક ટીમ પણ અમદાવાદ મોકલવામાં આવી
રહી હોવાનું જાણવા મળે છે.
એરપોર્ટ
ઉપરથી ઉડયા પછીની થોડી જ ક્ષણોમાં મેઘાણીનગરમાં બી.જે.મેડિકલ કોલેજનાં પરિસરમાં મેસ
સાથે ટકરાઈને તૂટી પડેલાં વિમાનનો આગળનો હિસ્સો હોસ્ટેલની ઈમારત પાસે ધડાકાભેર ફાટયો
હતો. અગનગોળો બનીને ફાટેલા વિમાનનો બ્લાસ્ટ અને આગ એટલી પ્રચંડ હતી કે, પળભરમાં ત્યાં
1000 ડિગ્રી જેટલાં તાપમાને જે ચપેટમાં આવ્યું તેને ભસ્મીભૂત કરી નાખ્યું હતું. આ સંજોગોમાં
વિમાનમાં સવાર લોકો અને હોસ્ટેલનાં તબીબી છાત્રો પણ આંખનાં પલકારામાં જ ભડથું બની ગયાં
હતાં. આ ઘટના પછી અઢીસો જેટલા મૃતદેહો તો હાથ લાગ્યા હતાં પણ તેમાંથી કોઈની પણ ઓળખ
શક્ય બને તેવી હાલતમાં નથી. તેથી તેમનાં પરિજનો સાથે ડીએનએ મેચિંગ કરવાની કામગીરી ચાલી
રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચોમેર મૃતકોનાં સ્વજનોનાં આક્રંદ અને ચીસોનાં પડઘા
ગુંજી રહ્યા છે. ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિયેશનનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અક્ષય ડોંગારડિવે
કહ્યું હતું કે, શબોની ઓળખ માટે ડીએનએની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે. શોકમાં ડૂબેલા
મૃતકોનાં સ્વજનો અમદાવાદ સિવિલનાં પરિસરમાં મૃતદેહોની સોંપણીની રાહમાં ટળવળી રહ્યાં
છે.
નાગરિક
ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ સોશિયલ મીડિયામાં એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે,
આતંરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન દ્વારા બનાવવામાં આવેલા નિયમોને આધીન એરક્રાફ્ટ
એક્સિડેન્ટ બ્યૂરોએ દુર્ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત અમેરિકાની નિષ્ણાતોની
ટીમ પણ સહયોગ આપવા માટે અમદાવાદ આવી રહી છે. અમેરિકાનું નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી
બોર્ડ, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન, બોઈંગ અને જનરલ ઈલેક્ટ્રિક પણ પોતાનાં તજજ્ઞોને
મોકલીને તપાસમાં મદદ કરવાનાં છે. બીજીબાજુ બ્રિટનનાં પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે કહ્યું
હતું કે, આ દુર્ઘટનાની તપાસ માટે એક વિશેષદળને ભારત મોકલવામાં આવશે. તો એક નાગરિક વિમાનની
દુર્ઘટનાની તપાસ કરતી એક બ્રિટિશ એજન્સીએ પણ તપાસમાં સહયોગ માટે અમદાવાદ ટીમ મોકલવાની
તૈયારી બતાવી હતી.
દરમિયાન
ઘટનાસ્થળની તપાસમાં બ્લેક બોક્સ મળી આવ્યું હોવાનાં અહેવાલ છે. જેનાથી વિમાન ક્રેશ
પહેલાની ક્ષણોની સ્થિતિ વિશે મહત્ત્વની જાણકારીઓ બહાર આવી શકે છે.
ડેપ્યુટી
પોલીસ કમિશનર કનન દેસાઈએ જણાવ્યું હતું કે, મૃતકોની અધિકૃત આંકડો ડીએનએ ટેસ્ટ પૂરા
થયા પછી જ જાહેર કરી શકાશે. વિમાન મેડિકલ કોલેજની હોસ્ટેલ ઉપર તૂટયું અને પછી ત્યાં
આગ લાગી હોવાથી હોસ્ટેલનાં અનેક છાત્રોનાં મૃત્યુ પણ થયા છે અને સંખ્યાબંઘ ઘાયલ હાલતમાં
સારવાર હેઠળ છે.
આગથી
વિમાનનું લોખંડ ઓગળ્યું, ભગવદ્ ગીતા આબાદ
સોશિયલ
મીડિયામાં વાયરલ થયો વીડિયો : લોકોએ ગણાવ્યો ચમત્કાર
અમદાવાદ,
તા. 13 : અમદાવાદમાં 12મી જૂનની બપોરે એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ હવે રેસ્ક્યૂ
ઓપરેશન લગભગ સમાપ્ત થયું છે. આ દુર્ઘટનામાં 241 લોકોએ જીવ ગુમાવ્યો છે. ભીષણ દુર્ઘટનામાં
માત્ર એક યાત્રીનો બચાવ થયો છે. રેસ્ક્યૂ ઓપરેશનમાં જોવા મળ્યું હતું કે આગની વિકરાળ
લપેટોએ આસપાસના વિસ્તારને પણ સકંજામાં લીધો હતો. આ દરમિયાન એક ચમત્કારીક ઘટના બની હતી.
આવડા મોટા બનાવ વચ્ચે રેસ્ક્યૂ ટીમને ભગવદ ગીતા મળી હતી. તમામ સામાન બળીને રાખ થયો
હતો પણ ભગવદ્ ગીતા પૂરી રીતે સુરક્ષિત અને વાંચવા યોગ્ય રહી હતી. સંભવત કોઈ યાત્રી પવિત્ર ગ્રંથને પોતાની સાથે રાખીને
મુસાફરી કરી રહ્યો હશે. સોશિયલ મીડિયામાં વાયરલ
થઈ રહ્યા વીડિયો અનુસાર એક વ્યક્તિ દુર્ઘટના સ્થળે કાટમાળ વચ્ચે ભગવદ ગીતાના પેજને
બતાવતો જોવા મળી રહ્યો છે. કાટમાળમાં તૂટેલા ફૂટેલા વિમાનના હિસ્સા અને યાત્રીઓના સામાન
વચ્ચે ગીતા સુરક્ષિત રીતે મળી આવવી એ એક ચમત્કાર ગણવામાં આવી રહ્યો છે અને લોકોની શ્રદ્ધા
અને અસ્થાનનું પ્રતિક બન્યો છે.