પતિ-પત્નીએ છૂટાછેડા કર્યા બાદ પતિએ નશાની હાલતમાં લખણ ઝળકાવ્યાં
જેતલસર/જેતપુર, તા.15 : જેતપુર
તીનબત્તી ચોકમાં ઓફિસ ધરાવતાં મહિલા વકીલના છૂટાછેડા થઈ ગયા બાદ પૂર્વ પતિએ નશાની હાલતમાં
પત્નીની ઓફિસે ધસી જઈ માર મારી ઓફિસમાં લેપટોપ, કીબોર્ડ અને ખુરશી જેવી ચીજવસ્તુઓની
તોડફોડ કરી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર
નવાગઢ દાસીજીવન પરામાં રહેતા અને તીનબત્તી ચોકમાં વકીલની ઓફિસ ધરાવતાં જ્યોતિબેન દીપકભાઈ
મકવાણાએ જેતપુર સિટી પોલીસ મથકમાં ફરિયાદ કરતા આરોપી તરીકે પોતાના પૂર્વ પતિ કરણ અશોકભાઈ
પરમારનું નામ આપતા જણાવ્યું હતું કે, આશરે નવ દિવસ પૂર્વે અમારા છૂટાછેડા થયા હતા બાદ
ગઈ તા.12ના રોજ માર પતિ નશો કરી ઓફિસે આવી ઘરના ભાડાના પૈસા માગતા મેં ભાડાના પૈસા
આપવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ બેફામ ગાળો બોલી માર મારી ઓફિસમાં રહેલા લેપટોપ, કી બોર્ડ
અને ખુરશીના ઘા કરી રૂ.35,000 હજારની તોડફોડ કરી નુકસાની આદરી હતી. બનાવ અંગે જેતપુર
સિટી પોલીસે ફરિયાદ નોંધી વકીલના પૂર્વ પતિ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.