નવીદિલ્હી, તા.10: ભારત સાથે આડોડાઈ કરવામાં કોઈ કસર નહીં છોડનારા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ સમારોહમાં આમંત્રિત કરીને ભારતે સૌને અચરજમાં મૂકી દીધા છે. ભારત સાથે ઈરાદાપૂર્વક વેર પેદા કરનાર મુઈજ્જુ સહિતના વિદેશી મહેમાનોએ શપથ સમારોહ પછી રાત્રીભોજનમાં ભાગ લીધો હતો. જેમાં મોદી અને મુઈજ્જુ સાથે બેસીને ભોજન લેતા જોવા મળ્યા હતા. આ પ્રસંગની તસવીર સામે આવ્યા બાદ બન્ને દેશો વચ્ચેની કડવાશ ઓસરી ગઈ હોવાની ચર્ચા શરૂ થઈ છે.
રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર શપથ સમારોહ પછી રાત્રીભોજનમાં શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, માલદીવનાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુ, સેશેલ્સનાં ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીક, બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીના, મોરેશિયસનાં પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જુગનાથ, નેપાળનાં પ્રધાનમંત્રી પુષ્પદહલ કમલ, ભુતાનનાં પ્રધાનમંત્રી શેરિંગ તોગ્બે જોડાયા હતા.