• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

ભારતે ચાબહાર પોર્ટનું નિયંત્રણ છોડયું : કોંગ્રેસ

પક્ષનો આરોપ, ટ્રમ્પના દબાણમાં બરબાદ કર્યા 1100 કરોડ: વિદેશ મંત્રાલયે કહ્યું છૂટ હજુ ચાલુ

નવી દિલ્હી,  તા.16 : કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ઈરાનના ચાબહાર બંદર પરથી નિયંત્રણ છોડવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે આવું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણના કારણે બન્યું છે. દરમ્યાન, કોંગ્રેસના આરોપ અંગે વિદેશમંત્રાલયે કહ્યું કે ચાબહાર અંગે મળેલી છૂટને આગળ વધારવા માટે ભારત અમેરિકા સાથે વાત કરી રહ્યું છે.

કોંગ્રેસ પક્ષના સત્તાવાર એકસ એકાઉન્ટ પરથી કરેલી પોસ્ટમાં જણાવ્યું કે મોદી સરકારે ચાબહાર પરિયોજનામાં દેશના લોકોના આશરે 1100 કરોડ રૂપિયા લગાવ્યા હતા જે હવે બરબાદ થઈ ચૂક્યા છે.

દરમ્યાન, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ઈરાનના ચાબહાર બંદરથી જોડાયેલી યોજનાઓ આગળ વધારવા માટે અમેરિકા સાથે વાતચીત ચાલી રહી છે.

તેમણે કહ્યું કે અમેરિકાએ ભારતને ઈરાન પર લાગેલા પ્રતિબંધ છતાં ચાબહારથી જોડાયેલાં કામ ચાલુ રાખવા માટે એક ખાસ ‘સેંક્શન છૂટ’ આપી છે જેની સમયસીમા 26 એપ્રિલ 2026ના સમાપ્ત થઈ રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક