• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

જયુબેલી બાગમાં કિન્નરો પર પથ્થરમારો કરી છરી-પાઈપથી હુમલો : છ ઘાયલ


સામું જોતા શખસને ટપારતા સાગરીતોને બોલાવી ડખ્ખો કર્યો : ચારેય હુમલાખોરની શોધખોળ

સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

 

રાજકોટ, તા.19 : જયેબલી બાગમાં બેઠેલા કિન્નરો સામે જોવાના મામલે એક શખસે ઝઘડો કર્યા બાદ અન્ય  સાગરીતોને બોલાવી કિન્નરોના જુથ પર પથ્થરમારો કર્યો હતો અને છરી-પાઈપથી હુમલો કરતા ત્રણ કિન્નરો અને એક વ્યકિતને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટના અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં બે શખસની કિન્નરોએ સરાજાહેર ધોલાઇ કરી નાખી હતી. પોલીસે હુમલાખોર ચાર શખસ વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, ભાવનગર રોડ પરના ગંજીવાડામાં રહેતા નીકીતાદે મીરાદે નામના કિન્નર તથા તેના ગુરુ મીરાદે સહિતના જયુબેલી બગીચામાં બેઠા હતા ત્યારે એક અજાણ્યો એકટીવા ચાલક આવ્યો હતો અને સામુ જોઈ અપશબ્દો બોલતા નીકીતા દેએ ટપાર્યો હતો અને એકટીવા ચાલક ઝઘડો કરી જતો રહ્યો હતો.

બાદમાં એકટીવા ચાલક રિક્ષામાં ચાર પાંચ સાગરીતો સાથે ધસી આવ્યો હતો અને ઝઘડો કરી પથ્થરમારો કર્યો હતો અને બાદમાં છરી-પાઈપથી હુમલો કરતા નાસભાગ મચી ગઈ હતી. આ હુમલામાં નીલમ દે, અદીતી દે મીરાદે, કોમલદે, હેતલદે અને જયા દે તેમજ ઝઘડામાં વચ્ચે પડેલા અજય મુન્નાભાઈને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ બનાવ અંગેની જાણ થતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને હાથ ધરેલી તપાસમાં કિન્નરોના જુથ વિશે અપશબ્દો બોલનાર શખસને ટપારતા મામલો બીચકયો હતો અને હુમલો કર્યો હતો તેમજ કિન્નરોના જુથે બે શખસ હાથમાં આવી જતા સરાજાહેર ધોલાઈ કરી નાખી હતી. આ ઘટનાનો પણ વીડિયો વાયરલ થયો હતો. પોલીસે નીકીતા દે  મીરા દેની ફરિયાદ પરથી ચાર અજાણ્યા શખસો વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક