રાજકોટમાં શનિવારે કોંગ્રેસના કાર્યકરોએ હેમુ ગઢવી હોલમાં ધસી જઈ કરી હતી તોડફોડ
રાજકોટ,
જામનગર, તા. 8: હું નથુરામ ગોડસે નામના નાટકનો શો આજે જામનગરમાં ટાઉનહોલમાં યોજાવાનો
હતો. જોકે આ નાટકનો શો રજુ થયા પહેલા જ રદ થયો હતો. આયોજકોએ આ નાટકનો વિરોધ થવાની ભીતિએ
શો રદ જાહેર કર્યો હતો. નોંધનીય છે કે ગઈકાલે રાજકોટમાં હેમુ ગઢવી હોલમાં આ નાટક ભજવાઈ
રહ્યું હતું ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ ધસી જઈ તોડફોડ કરી શો રદ કરાવ્યો હતો.
જામનગરના
ટાઉનહોલમાં આજે ગોડસેનું નાટક યોજાવાનુ હતું પરંતુ ગઈકાલે રાજકોટમાં આ નાટકનો કોંગ્રેસ
દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે જામનગરના કોર્પોરેટર રચના નંદાણીયાએ કોંગ્રેસી
અને ગાંધી વિચારધારા ધરાવતા તમામ લોકોને આહ્વાન કર્યું હતું કે જામનગરમાં પણ વિરોધ
કાર્યક્રમ યોજી આ નાટક થવા દેવું જોઈએ નહીં. આ ભીતિને ધ્યાન રાખી નાટકના ઓર્ગેનાઇઝરો
દ્વારા નાટકને રદ કરી દેવામાં આવ્યું હતું.
બીજી તરફ સાંજના સુમારે ટાઉનહોલ ખાતે કોંગ્રેસના
કાર્યકરો એકઠા થયા હતા. હાથમાં પોસ્ટર્સ-બેનર્સ અને
ગાંધીજીની
તસવીર લઈને તેઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા, ગોડસે વિચારધારા બંધ કરો, એવી માગ કરી હતી.
અનિચ્છનીય
ઘટના ન બને તે માટે ટાઉન હોલના ગેટને કોર્પોરેશનના સત્તાધીશોએ તાળું મારી દીધું હતું
તેમજ પોલીસ દ્વારા આ વિસ્તારમાં પેટ્રાલિંગની ડ્રાઇવ ચલાવવામાં આવી હતી ત્યારે આ નાટક
રદ થતાં કોંગ્રેસીઓએ નાટક રદ થવાની ખુશી વ્યક્ત કરી ટાઉનહોલના ગેટ ઉપર એકબીજાને પેંડા
ખવડાવી અને ઉજવણી કરી હતી.
આ શો રજુ થાય તે પહેલા જામનગરના કોર્પોરેટર રચના
નંદાણીયાએ એક વિડીયોના માધ્યમથી કોંગ્રેસી કાર્યકર્તાઓ તેમજ ગાંધી વિચારધારાને માનતા
લોકોને આ નાટકનો વિરોધ કરવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ગોડસેએ ગાંધી
બાપુની હત્યા કરી હતી. હું જામનગરની જનતાને કહું છું કે આ કોંગ્રેસ દ્વારા નહી પરંતુ
ગાંધી વિચારધારાને માનતા હોય તો ટાઉન હોલમાં ભજવવામાં આવનાર આ નાટક જોવા કોઈ જશો નહી.
આપણે કોઈ ન્યુસન્સ ફેલાવું નથી. જે લોકો વર્ષોથી ગાંધીજીને માને છે, ગાંધીજીની વિચારધારા
પર ચાલે છે તે જનતાને અપીલ છે કે આ કાર્યક્રમને ધાર્મિક ગીતો ગાઈને વિરોધ કરવો.