• શનિવાર, 27 જુલાઈ, 2024

રાજ્યસભા ચૂંટણી: કમળમાં ખીલશે નવા ચહેરાઓ: મહિલાને અપાશે પ્રાધાન્ય જ્ઞાતિવાર સમીકરણ જોઈએ તો એક આદિવાસી, એક દલિત અને એક અન્ય ઉમેદવારની સંભાવના

અમદાવાદ, તા.11: ગુજરાત રાજ્યસભામાં ભાજપના બે તથા કોંગ્રેસના બે સભ્યની મુદત પૂર્ણ થઈ છે ત્યારે આગામી 26મી ફેબ્રુઆરીએ આ ચાર બેઠક માટે ચૂંટણી યોજાવાની છે. રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકની ચૂંટણીને લઈને જાહેરનામું પણ પ્રસિદ્ધ થઈ ગયું છે. આ જોતાં હવે ભાજપ રાજ્યસભામાં કોને મોકલશે તે અંગે રાજકીય અનુમાનોનો દોર શરૂ થયો છે. એવી ચર્ચા છે કે, ભાજપ એક મહિલા સહિત નવા ચહેરાને રાજ્યસભાના ઉમેદવાર તરીકે તક આપી શકે છે. 

નોંધનીય છે કે, ભાજપના રાજ્યસભાના સભ્ય કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા ઉપરાંત કોંગ્રેસના અમી યાજ્ઞિક અને નારણ રાઠવાની મુદત પૂર્ણ થઈ છે. આ ખાલી પડેલી ચાર બેઠક માટે તા. 26 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. વિધાનસભામાં સભ્ય સંખ્યાબળને જોતાં કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર ઉભા નહીં રાખવા નક્કી કર્યુ છે. આ જોતા ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ  વિજેતા જાહેર થાય તે વાત નક્કી છે. 

ભાજપના વર્તુળોમાં એવી ચર્ચા છે કે, કેન્દ્રીય નેતૃત્વ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં નવા ચહેરાને સ્થાન આપી શકે છે. આ ઉપરાંત ચારેય ઉમેદવાર પૈકી એક મહિલાને તક આપે તેવી પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે. જ્ઞાતિવાર સમીકરણ જોઈએ તો એક આદિવાસી, એક દલિત અને એક અન્ય ઉમેદવારની સંભાવના જોવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, ગત વખતે પણ ભાજપ હાઇકમાન્ડે બાબુભાઇ દેસાઇની પસંદગી કરીને સૌને ચોંકાવ્યા હતા. આ વખતે પણ ભાજપ રાજ્યસભાના ઉમેદવાર તરીકે નવા ચહેરાને જ પસંદ કરે તેમ છે. 

કોંગ્રેસે આ વખતે બે બેઠક ગુમાવવી પડશે. ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 પૈકી કોંગ્રેસ પાસે એક માત્ર બેઠક રહી છે. કોંગ્રેસના શક્તાસિંહ ગોહિલનો પણ વર્ષ 2026માં સમયકાળ પૂર્ણ થઈ રહ્યો છે. અત્યારે તો ભાજપમાં રાજયસભાના ઉમેદવારને લઈને અનુમાન થવા માંડયા છે. કયા ઉમેદવારને મોકો મળશે તે અંગે ખુદ ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓને પણ ખબર નથી. કેમ કે, જે કંઈ નક્કી થશે તે દિલ્હીમાં થશે.

ઇ-પેપરના નવા શુલ્ક