સાબરકાંઠા, તા.23 : ગુજરાતમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કાટવાડ નજીક આજે સવારે ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ મુસાફરના મૃત્યુ થયાં અને સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચીને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા.
મળતી
માહિતી અનુસાર, મુંબઈથી રાજસ્થાન જતી ખાનગી બસને અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે પર કાટવાડ
નજીક અકસ્માત નડયો હતો. આ ખાનગી બસ ધડાકાભેર સાથે ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માત એટલો
ભયાનક હતો કે, ખાનગી બસની ડાબી સાઈડ ચિરાઈ ગઈ હતી. જેના કારણે બસના પતરા કાપીને એક
મહિલા અને બે પુરુષ સહિત ત્રણનાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં હતા. સમગ્ર ઘટનાની જાણ
થતાં પ્રાંતિજ પોલીસ, હાઈવે ટ્રાફિક, ચાર 108 એમ્બ્યુલન્સ અને પ્રાંતિજ-હિંમતનગર ફાયર
બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ મૃતદેહને પીએમ માટે પ્રાંતિજ સરકારી
દવાખાને ખસેડવામાં આવ્યો હતો અને સાત ઈજાગ્રસ્તને મુસાફરોને સારવારમાં ખસેડવામાં આવ્યાં
છે. આ અકસ્માત સર્જાતા હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડયાં હતા.