• બુધવાર, 25 જૂન, 2025

ઈરાનનું 400 કિલો યુરેનિયમ ગાયબ : અમેરિકાને ડર

-અમેરિકી હુમલા પહેલા 10 પરમાણુ બોમ્બ બની શકે તેટલું યુરેનિયમ અન્ય સ્થળે ખસેડાયું હોવાની સંભાવના

 

વોશિંગ્ટન, તા. 24 : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયર માટે સહમતિ બની છે. આ દરમિયાન ઈરાને એક એવો ખેલ કર્યો છે, જેણે અમેરિકાની ચિંતા વધારી દીધી છે. હકીકતમાં ઈરાનનો 400 કિલોનો યુરેનિયમ ભંડાર ગાયબ છે. આ ભંડાર ક્યાં છે કોઈને ખબર નથી. આ અહેવાલથી અમેરિકા સહિત દુનિયાભરમાં ચિંતા છે. 400 કિલો યુરેનિયમથી 10 પરમાણુ હથિયાર બની શકે છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 60 ટકા સુધી સમૃદ્ધ યુરેનિયમ અમેરિકા તરફથી ઈરાનના ત્રણ પરમાણુ કેન્દ્રો ઉપર હુમલા બાદથી ગાયબ છે. આ યુરેનિયમને 90 ટકા સુધી સમૃદ્ધ કરવામાં આવતા પરમાણુ હથિયાર બની શકે છે.

સૂત્રો અનુસાર ઈરાને અમેરિકી હુમલા પહેલા યુરેનિયમના ભંડાર અને અમુક ઉપકરણોને ગુપ્ત જગ્યાએ રવાના કરી દીધા હશે. અગાઉ ઈઝરાયલી અધિકારીઓએ કહ્યું હતું કે હુમલા પહેલા ફોર્ડો ન્યુક્લિયર સાઈટ બહાર 16 ટ્રકની કતાર જોવા મળી હતથી. ફોર્ડો ન્યુક્લિયર સાઈટ પહાડની નીચે બનેલી છે અને મિસાઈલ હુમલાથી સુરક્ષિત માનવામાં આવે છે.

આાઈએઈએના પ્રમુખ રાફેલ ગ્રોસીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને કહ્યું હતું કે યુરેનિયમ ભંડાર અંતિમ વખત ઈઝરાયલના હુમલાના એક અઠવાડિયા પહેલા જોવા મળ્યો હતો. ગ્રોસીએ એમ પણ કહ્યું હતું કે ભંડારનું તત્કાળ નિરિક્ષણ કરવાની જરૂરીયાત છે. જેથી યુરેનિયમનો ભંડાર ડાયવર્ટ કરવામાં આવે નહી. અમેરિકા અને ઈઝરાયલ માને છે કે ટ્રકોની મદદથી યુરેનિયમ સ્ટોકપાઈલ અને ઉપકરણો ઈરાનની પ્રાચીન રાજધાની ઈસ્ફહાન પાસે એક અન્ય અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ સાઈટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક