• બુધવાર, 25 જૂન, 2025

જંગમાં વિરામ, ભંગ શરૂ

ટ્રમ્પની યુદ્ધવિરામની ઘોષણાને ઈરાન-ઈઝરાયલ ઘોળીને પી ગયા : અમુક કલાકમાં જ સામસામે મિસાઈલો ઝીંકી : ટ્રમ્પ ભડક્યા, ઈઝરાયલને તાત્કાલિક અટકવા કહ્યું

નવીદિલ્હી, તા.24: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે 12 દિવસથી ચાલતા ભીષણ યુદ્ધમાં અમેરિકાએ ઈરાનનાં પરમાણુ મથકો ઉપર પ્રચંડ હુમલો કર્યા બાદ ઈરાને પણ કતારમાં અમેરિકાનાં વાયુસેના મથક ઉપર હુમલો બોલાવી દેતા યુદ્ધ વધુ વકરવાની દહેશત વચ્ચે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે વહેલી સવારે દુનિયાને ચોંકાવતા ઈઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થઈ ગયાની ઘોષણા કરતાં દુનિયાને મોટો હાશકારો થયો હતો. જો કે ટ્રમ્પની આ જાહેરાતનાં અમુક કલાકમાં જ ઈરાન અને ઈઝરાયલે યુદ્ધવિરામનો જ કચ્ચરઘાત કાઢી નાખ્યો હતો. જેને પગલે ટ્રમ્પે બન્ને દેશ, ખાસ કરીને ઈઝરાયલ ઉપર ભડકી ગયા હતાં અને તેમણે તાત્કાલિક અસરથી હુમલા અટકાવવા તાકીદ કરી હતી. આ ઉપરાંત મોટું નિવેદન આપતાં ટ્રમ્પે એટલે સુધી કહ્યું હતું કે, તેઓ ઈરાનમાં સત્તાપરિવર્તન નથી ઈચ્છતા.

ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામને ઈઝરાયલ અને ઈરાને ઘોળીને પી ગયા બાદ ઈઝરાયલને ચેતવણી આપી હતી કે, પોતાના પાયલટોને પરત બોલાવે. ટ્રમ્પે કહ્યું હતું કે, ઈઝરાયલ અને ઈરાને શત્રુતા સમાપ્ત કરવા માટે મંગળવારની સમયમર્યાદા બાદ પણ યુદ્ધવિરામની શરતોનો ભંગ કર્યો છે. હેગમાં નાટો શિખર પરિષદ માટે રવાના થતા પહેલા ટ્રમ્પે બન્ને તરફથી સતત ચાલી રહેલા હુમલા ઉપર નિરાશા વ્યક્ત કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાને ભંગ કર્યો તો સામે ઈઝરાયલે પણ ઉલ્લંઘન કર્યુ છે. ઈઝરાયલનાં વલણથી તેઓ ખુશ નથી.

આ પહેલા સોમવારની રાતે 3.30 વાગ્યે ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ ઉપર યુદ્ધવિરામનું એલાન કરતાં લખ્યું હતું કે, બધાને અભિનંદન! 12 કલાક માટે યુદ્ધવિરામ માટે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સહમતિ સધાઈ ગઈ છે અને છ કલાકનાં સમયમાં ઈઝરાયલ અને ઈરાન પોતાનાં ચાલુ અભિયાનો પૂરા કરી નાખશે. એ બિંદુ ઉપર યુદ્ધને સમાપ્ત માની લેવામાં આવશે. પહેલા ઈરાન અને પછી ઈઝરાયલ શત્રો હેઠાં મૂકી દેશે. મેં બન્ને દેશોને સહનશીલતા, સાહસ અને બુદ્ધિમતા માટે અભિનંદન પાઠવ્યા છે. આ એક એવું યુદ્ધ છે જે વર્ષો સુધી ચાલી શકે છે અને સમગ્ર મધ્યપૂર્વને નષ્ટ કરી  શકે તેમ હતું પણ આવું કંઈ થયું નથી અને થશે પણ નહીં.

ટ્રમ્પનાં આ એલાનનાં અમુક કલાકમાં જ ઈરાને ઈઝરાયલ ઉપર છ બેલિસ્ટિક મિસાઈલનો મારો ચલાવી દીધો હતો અને તેનાં હિસાબે શાંતિની બંધાયેલી મજબૂત આશા ઉપર પાણી ફરી વળ્યું હોય તેવી હાલત પેદા થઈ હતી. ઈરાનની મિસાઈલોમાંથી એકે બીરશેબામાં ભારે નુકસાન કર્યુ હતું. આ હુમલા બાદ તેલઅવીવ અને યેરુશલેમમાં પણ વિસ્ફોટની ગુંજ સંભળાઈ હતી. ઈરાનનાં આ હુમલા પછી ઈઝરાયલે પણ જવાબી હુમલો બોલાવ્યો હતો અને યુદ્ધવિરામની સંભાવનામાં વધેલી આશા પણ ધૂળધાણી થઈ ગઈ હતી. ઈઝરાયલનાં આ હુમલામાં તેહરાનમાં પણ ધડાકા થયા હતા.

ઈરાન તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે, તેનાં હુમલાનાં હિસાબે ઈઝરાયલ યુદ્ધવિરામ માટે મજબૂર થઈ ગયું હતું. જ્યારે ઈઝરાયલે કહ્યું હતું કે, તેનું લક્ષ્ય સિદ્ધ થઈ ગયું હોવાથી તે યુદ્ધવિરામ માટે તૈયાર થયું છે. જો કે ઈરાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યા બાદ ઈઝરાયલે પણ જવાબી હુમલો કરીને કહ્યું હતું કે, યુદ્ધવિરામનાં કોઈપણ ભંગનો જવાબ આપ્યા વિના છોડાશે નહીં. આમ, દુનિયા ફરી એકવાર અવઢવમાં મૂકાઈ ગઈ હતી કે વાસ્તવમાં આ યુદ્ધનો અંત આવ્યો છે કે નહીં?

 

ઇ-પેપરના નવા શુલ્ક