• બુધવાર, 25 જૂન, 2025

દિલીપ દોશીના નિધનથી સચિન તેંડુલકર વ્યથિત અનિલ કુંબલેએ શ્રેષ્ઠ સ્પિનર ગણાવ્યા

ભારતીય ટીમ કાળી પટ્ટી બાંધી મેદાનમાં ઉતરી

નવી દિલ્હી, તા.24: ભારતના પૂર્વ દિગ્ગજ સ્પિનર દિલીપ દોશીનું સોમવારે રાત્રે લંડનમાં હૃદયરોગના હુમલાથી 77 વર્ષની વયે નિધન થયું છે. આ દિગ્ગજ સ્પિનરને શ્રદ્ધાંજલિ આપવા માટે ભારતીય ટીમે આજે ઇંગ્લેન્ડ સામેના પહેલા ટેસ્ટના આખરી દિવસે મેદાન પર કાળી પટ્ટી બાંધી હતી અને શરૂઆતમાં બે મિનિટનું મૌન પાળ્યું હતું.

દિલીપ દોશીના નિધન પર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે શોક વ્યક્ત કરતા જણાવ્યું કે ક્રિકેટ જગત માટે આ મોટી ક્ષતિ છે. 1990માં મારી તેમની સાથે યૂકેમાં મુલાકાત થઇ હતી. તેમણે નેટમાં મારી સામે બોલિંગ કરી હતી. તેઓ મને બહુ પસંદ કરતા. દિલીપભાઇ જેવા હુંફાળા માનવી બહુ યાદ આવે છે. તેમની ક્રિકેટની વાતો યાદ આવશે. તેમના આત્માને શાંતિ મળે. ઓમ શાંતિ. આ ઉપરાંત અનિલ કુંબલેએ પણ દિલીપ દોશીને શ્રેષ્ઠ સ્પિનર ગણાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી. બીસીસીઆઇ અને આઇસીસીએ પણ શોક વ્યક્ત કર્યો છે.

દિલીપ દોશીએ 1979માં 32 વર્ષની વયે ટીમ ઇન્ડિયામાં પદાર્પણ કર્યું હતું. તેમના નામે 33 ટેસ્ટમાં 114 વિકેટ છે. જ્યારે 1પ વન ડેમાં 22 વિકેટ લીધી છે. 238 પ્રથમ શ્રેણી મેચમાં તેમના નામે કુલ 898 વિકેટ છે. જેમાં 43 વખત પાંચ વિકેટ છે. તેઓ બંગાળ અને સૌરાષ્ટ્ર તરફથી રણજી ટ્રોફી રમ્યા હતા. ઈંગ્લીશ કાઉન્ટિના તેઓ સફળ સ્પિનર હતા.

ઇ-પેપરના નવા શુલ્ક