• બુધવાર, 25 જૂન, 2025

તળાજા ન્યાયાલયને જ ભ્રષ્ટાચારનો ભારિંગ ભરખી ગયો !

સાત વર્ષ પહેલા બનેલા બિલ્ડિંગમાંથી પાણી ટપકી રહ્યું છે : જજ બેસે તે ડાયસને પ્લાસ્ટિકથી ઢાંકવું પડે તેવી  સ્થિતિ : વકિલોની અચોક્કસ મુદ્દતની હડતાલ

ચારેય કોર્ટ, ડે.કલેક્ટર, મામલતદાર કચેરીના કામો નહીં કરવા રણટંકાર

તળાજા, તા.24:  રાજ્યમાં ભ્રષ્ટાચારએ એટલી હદે માઝા મૂકી છે કે જ્યાં ન્યાય તોળાય છે ત્યાં જ ભ્રષ્ટાચારના ભારિંગને કારણે તળાજાની ત્રણ મંજિલ કોર્ટ બિલ્ડિંગની હાલત દયનિય થઈ છે. સ્લેબ, દીવાલો નબળી પડતા વરસાદી પાણી જજ બેસે છે તે સ્થળથી લઈ લોબી, સ્ટાફ રૂમ, ઇલેક્ટ્રિક ઉપકરણો અને કોર્ટનું મહત્ત્વનું દસ્તાવેજી સાહિત્ય રાખવામાં આવ્યું છે તે તમામ સ્થળે પડી રહ્યું છે. લોબી, રૂમમા પાણીના ખાબોચિયું ભરાય છે તો જજ બેસે તે ડાયસને પ્લાસ્ટિકથી ઢાંકવું પડે તેવી દયનિય સ્થિતિ તળાજા કોર્ટની થઈ છે. આ સ્થિતિને લઈ આજે તળાજા બાર.એસો.ના સિત્તેર જેટલા સભ્યોએ પ્રમુખ જે.કે.દવેની આગેવાનીમાં વીજળીક હડતાલ પાડી દીધી હતી.

બાર.એસો.ના પ્રમુખ દવેએ પ્રતિક્રિયા આપી હતી કે સાત વર્ષ પહેલાં આ બિલ્ડિંગ સોંપવામાં આવ્યું હતું. તેમાં પાણી પડવાની પ્રારંભિક તબક્કેથી રાવ હતી. પીડબલ્યુડીએઁ બિલ્ડિંગનું નિર્માણ કર્યું હોય તેને રજૂઆત કરવા છતાંય સંતોષકારક કામ કરવામાં આવ્યું નહીં! તેના પરિણામ રૂપે આજે સ્થિતિ એવી થઈ છેકે કોર્ટ બિલ્ડિંગ જર્જરિત થયું છે. જ્યૂડી. ઓફિસર, વકીલો, કોર્ટ સ્ટાફ અને અહીં આવતા પક્ષકારોના જીવ જોખમમાં હોય તેવો ડર સતાવતા અને પી.ડબ્લ્યુ. ડી એ ભ્રષ્ટાચાર આચાર્યો હોય તેવું લાગતા જ્યાં સુધી કોર્ટ બિલ્ડિંગમાં પાણી પડતું બંધ ન થાય ત્યાં સુધી તળાજા વકીલ મંડળ દ્વાર ચારેય કોર્ટની કાર્યવાહી ઉપરાંત ડે.કલેક્ટર અને મામલતદાર કચેરીઓમાં વકીલને લગતા કામોથી દુર રહી અચોક્કસ મુદત સુધીની હડતાળનો નિણર્ય કર્યો છે. એ નિણર્યના પગલે આવેલા અસિલો, પક્ષકારોને કોર્ટ બિલ્ડિંગમા પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. તમામ કેસો પેન્ડિંગ રહ્યા હતા.

બાર.એસો.ના સભ્ય અને પૂર્વ પ્રમુખ હાર્દિકભાઈ ઓઝાએ જણાવ્યું હતુ કે વારંવારની રજુઆત છતાંય પી.ડબ્લ્યુ. ડી.એ ગંભીરતા દાખવી જ નથી. આથી કોર્ટના અગત્યના ભાગો પાણી પાણી થઈ ગયા. જેને લઈ કોર્ટના ઈન્સ્ટુમેન્ટ, મહત્ત્વના કેસના કાગળો પલળીને ખરાબ થઈ ગયા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક