• શનિવાર, 27 જુલાઈ, 2024

ભાવનગરની પરિણીતાને જામનગરના  પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ

કરિયાવરની માગણી કરી સાસરિયાએ પરિણીતાને પુત્ર સાથે ઘરેથી કાઢી મૂકી 

ભાવનગર, તા.17: ભાવનગરમાં માવતરે રહેતી પરિણીતાને તેના સાસરિયાએ તારા પિતાને કહે દુકાન અપાવે તો સારી રીતે રાખીશું કહી કરિયાવર બાબતે મેણા ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ, સાસુ-સસરા અને બે જેઠ-જેઠાણી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ ભાવનગરમાં સુભાષનગર વિસ્તારમાં આવેલા સુવિધા ટાઉનશિપમાં પિયરમાં રહેતા અને જામનગરના ઓશવાળ સોસાયટી પાસે સાસરી ધરાવતાં ફાલ્ગુનીબેન નિકુંજભાઈ રાઠોડે ભાવનગર ઘોઘારોડ પોલીસ મથકમાં તેના પતિ નિકુંજ લીલાધરભાઈ રાઠોડ, સસરા લીલાધર પોપટભાઈ રાઠોડ, સાસુ લલીતાબેન લીલાધરભાઈ રાઠોડ, જેઠ સંજય લીલાધરભાઈ રાઠોડ, જેઠાણી દીપુબેન સંજયભાઈ રાઠોડ, જેઠ નિલેશ લીલાધરભાઈ રાઠોડ, જેઠાણી હર્ષાબેન ઉર્ફે કૈલાસબેન નિલેશભાઈ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેણીનાં લગ્ન જીવન દરમિયાન તેના સાસુ સસરા, જેઠ જેઠાણીએ તેના પતિને ચડામણી કરી તેણીને કરિયાવર દહેજમાં તારા પિતાનાં ઘરેથી માનમોભા મુજબનું લાવેલ નથી તેમ કહી તમામ મેણાં ટોણાં મારી તેના પતિએ સાસરીમાંથી કાઢી મૂકી હતી. બાદમાં સમાધાન કરી લઈ જઈ તેણીના સાસરીમાં તારા પિતા પાસેથી અમને દુકાન અપાવીશ તો તને સારી રીતે રાખીશું નહીંતર અમારે તને જોઈતી નથી તેમ કહી મેણાટોણા મારી હેરાન પરેશાન કરી તેના પતિએ મારઝૂડ કરી શારીરિક માનસિક ત્રાસ આપી તેને તેમજ તેના દીકરાને પહેરેલ કપડે કાઢી મૂકી હવે પછી અહીયા આવતી નહીં નહીંતર તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી તેણીએ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક