• રવિવાર, 13 જુલાઈ, 2025

કોરીડોરના નિર્માણ સાથે પશ્ચિમ ભારતનું સૌથી મોટું ધાર્મિક કેન્દ્ર બનશે દ્વારકા

ઓગસ્ટમાં કોરીડોર પ્રોજેક્ટના શ્રીગણેશ થવાની સંભાવના

દ્વારકા, તા. 12: કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય તથા ગુજરાત ટુરીઝમ વિભાગના આગામી મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકીના મુખ્ય એવા દ્વારકા કોરીડોર પ્રોજેક્ટના શ્રીગણેશ ટૂંક સમયમાં થાય તેવા અહેવાલો સાંપડી રહ્યા છે. મહદંશે દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, શિવરાજપુર બીચને સાંકળતા કોરીડોર પ્રોજેક્ટનો આગામી ઓગષ્ટ માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે શિલાન્યાસ થાય તેવી સંભાવના છે. આ સાથે દ્વારકા પશ્ચિમ ભારતનું સૌથી મોટું ધાર્મિક કેન્દ્ર બની જશે.

યોજના અંતર્ગત અમદાવાદની ખાનગી કંપનીને દ્વારકા કોરીડોર પ્રોજેક્ટ અંગેની થ્રી-ડી ડીઝાઈન તથા વ્યાપક રૂપરેખાની જવાબદારી સોંપાઈ છે. પ્રથમ તબક્કામા જગતમંદિર આસપાસના 100 મીટરના વિસ્તારનો વિકાસ થશે જેને ટેમ્પલ સ્કવેર તરીકે ઓળખવામાં આવશે જેમાં મંદિર પરિસર સાથે ભવ્ય કોરીડોર પણ સમાવિષ્ટ હશે.

સાથે ગોમતી નદીને સામે ઘાટે આવેલ પંચનદતીર્થ સાથે જોડતા સુદામા સેતુનું પણ નવીનીકરણ કરવામાં આવશે. આ સાથે દ્વારકાથી 16 કિમી દૂર આવેલા નાગેશ્વર જ્યોતિલ્ઑિાગ કોરીડોરને ‘લાઈવ ઓફ શિવા’ની વિશેષ થીમ હેઠળ વિકસાવાઈ રહ્યંy છે. આ સાથે બેટ દ્વારકા મંદિરનું બ્યુટીફિકેશન પણ કરવામાં આવશે.

દ્વારકા કોરીડોરના નિર્માણ સાથે પશ્ચિમ ભારતના આ તીર્થસ્થાનની ભવ્યતામાં અનેકગણો વધારો થશે. હાલમાં યાત્રીકોને ભારે ભીડવાળી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે કોરીડોર નિર્માણથી ભાવિકોને શ્રીજીના દર્શન કરવા વધુ સરળ બનશે.

ગોમતી નદીમાં સ્નાન કરી જગતમંદિરે દર્શન કરવાની પરંપરા ઉપરાંત વર્તમાન સમયમાં યાત્રાળુઓના પ્રવાસમાં  સતત વધારો જોતાં આ 16 જેટલા જૂના ગોમતી ઘાટોના વિસ્તૃતીકરણ સાથે મંદિર નજીકમાં જ વિશાળ પાર્કિંગ સુવિધા ઉભી કરવામાં આવશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક