• સોમવાર, 15 જૂન, 2026

આજે કોંગ્રેસ દ્વારા ગાંધીનગરમાં વિશાળ ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર રેલી યોજાશે જો માગણી નહી સ્વીકારાય તો ખેડૂતો દ્વારા પૂર્ણ જંગનું એલાન કરાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 14 : ગુજરાતના ખેડૂતોના મુખ્ય પ્રશ્નો અને ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે આવતીકાલે 15મી જૂનના રોજ યોજાનાર ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં કોંગ્રેસના વિવિધ આગેવાનોએ 15 જૂને ખેડૂતો શાંતિપુરા સર્કલથી કૂચ કરીને ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર રેલી ગાંધીનગર ખાતે 1111 ટ્રેક્ટરો સાથે રાજ્યની રાજધાની તરફ આગળ વધવાનું આહ્વાન કર્યું હતું. આ દરમિયાન સરકાર સમક્ષ ખેડૂતોની માગણીઓ સીધી રજૂ કરાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો સરકાર ખેડૂતોની વાજબી માગણીઓ તરત નહી સ્વીકારે તો આગામી દિવસોમાં ગુજરાતના ખેડૂતો દ્વારા પૂર્ણ જંગનું એલાન કરવામાં આવશે.

ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર રેલી અંગે વાતચીત કરતા સેવાદળના રાષ્ટ્રિય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર રેલી ગુજરાત કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવી રહી છે.  ખેડૂતલક્ષી મુખ્ય માગણીઓમાં (1) ગુજરાતના 56 લાખ ખેડૂતો પરના 96,000 કરોડના ખેતી દેવાની સંપૂર્ણ માફી, અન્ય રાજ્યોની જેમ. (2) અન્ય રાજ્યોમાં આપવામાં આવતી સુવિધાઓની જેમ ખેતી માટે મફત વીજળી. (3) જમીન માપણી અને કાપણી બંધ કરીને ખેડૂતોને ન્યાય આપવો, ખેડૂતોની ખેત પેદાશો અને દૂધના પોષણક્ષમ ભાવો આપો, ખાતર-બીયારણ-ડીઝલ-જંતુનાશક દવા સહિત પૂરતા પ્રમાણમાં વ્યાજબી ભાવમાં ઉપલબ્ધ કરાવવાનો સમાવેશ થાય છે.

ભાજપ સરકાર જમીન સંપાદનમાં પાર્ટીના મધ્યસ્થોને ફાયદો કરાવીને વ્યાપક ભ્રષ્ટાચાર કરી રહી છે. મોટી વીજ કંપનીઓ પોલીસની મદદથી ખેડૂતોના ખેતરોમાં જબરદસ્તી હાઈ-ટેન્શન લાઈનો નાખી રહી છે, જે ખુલ્લી દાદાગીરી સમાન છે. કોંગ્રેસ નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે આ વિધાનસભા ઘેરાવો નથી પરંતુ ઉદાસીન ભાજપ સરકારને જગાડવા માટેનું મજબૂત અલ્ટિમેટમ છે.

ગુજરાત કોંગ્રેસે આરોપ મુક્યો છે કે ભાજપ સરકાર જમીન સંપાદનમાં પાર્ટીના મધ્યસ્થોને ફાયદો કરાવીને વ્યાપક ભ્રષ્ટાચાર કરી રહી છે. મોટી વીજ કંપનીઓ પોલીસની મદદથી ખેડૂતોના ખેતરોમાં જબરદસ્તી હાઈ-ટેન્શન લાઈનો નાખી રહી છે, જે ખુલ્લી દાદાગીરી સમાન છે.

ખેડૂતોનાં ખેતરમાંથી પસાર થતી હાઇટેન્શન વીજ લાઇનના થાંભલાઓ અને વળતરના મુદ્દે ચાલી રહેલા આંદોલનમાં હવે રાજકીય ગરમાવો આવ્યો છે. અત્યાર સુધી ખેડૂતોના પ્રશ્ને સાથે જોવા મળતા કોંગ્રેસ અને આપ હવે સામસામે આવી ગયા છે. આપ નેતા પંકજ રાણસરિયાએ કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયા પર આકરા પ્રહારો કર્યા છે.

મોરબી જિલ્લાના ખેડૂતો ટ્રેકટર લઇને ગાંધીનગર જવા રવાના

(ફૂલછાબ ન્યુઝ)

મોરબી તા.14 : મોરબી જીલ્લામાંથી પસાર થતી હેવી વીજલાઈન મામલે ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે. પૂરતા વળતરની માંગ સાથે છેલ્લા એક સપ્તાહથી જેતપર ગામમાં ઉપવાસી છાવણીમાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તા. 15 જુનના રોજ ગાંધીનગર ટ્રેક્ટર રેલીની જાહેરાત કરવામાં આવી હતી જે જાહેરાત અન્વયે રવિવારે ખેડૂતો ગાંધીનગર જવા રવાના થયા હતા.

આજે મોરબી, ટંકારા, માળિયા અને હળવદમાંથી ટ્રેક્ટર લઈને ખેડૂતો મોટી સંખ્યામાં ગાંધીનગર જવા રવાના થયા હતા. ગુજરાત સંઘર્ષ સમિતિના પાલભાઈ આંબલીયા, મહેશભાઈ રાજકોટિયા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિતના આગેવાનો પણ સમર્થનમાં જોડાયા છે. વીજપોલ સામે ખેડૂતોને પૂરું વળતર આપવાની માંગ સાથે સોમવારે ગાંધીનગરમાં ટ્રેક્ટર રેલી યોજાનાર છે.

પાલભાઈ આંબલીયાએ જણાવ્યું હતું કે અપેક્ષા કરતા વધુ ટ્રેક્ટર સાથે ખેડૂતો જોડાઈ રહ્યા છે. જીલ્લામાંથી જ મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે જોડાયા છે અને વિરમગામ સહિતના સ્થળે તેમજ દક્ષિણ ભારતમાંથી પણ ખેડૂતો જોડાશે અને વિશાળ સંખ્યામાં ટ્રેક્ટર રેલી યોજાશે.

સરકાર ખેડૂતોનાં હિતને નુકસાન ન થાય તેવી નીતિ બનાવવા જઈ રહી છે : પુરુષોત્તમ રૂપાલા

ઠેક-ઠેકાણેથી ખેડૂતો ગાંધીનગર કૂચ કરી ત્યાં એકત્ર થઈ વિરોધ કરવાના છે ત્યારે સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેઓના જણાવ્યા અનુસાર સરકાર ખેડૂતોનાં હિતને નુકસાન ન થાય તેવા પ્રકારની નીતિ બનાવવા જઈ રહી છે. રાજ્ય સ2કારે ગઈકાલે જ કૃષિ મંત્રી સાથે આ વિષય પર વિગતવાર ચર્ચા કરી છે. આ ઉપરાંત, મુખ્યમંત્રીના ધ્યાન પર પણ આ આખો વિષય છે જ. મારી પોતાની માન્યતા એવી છે કે રાજ્ય સરકાર ખેડૂતોના હિતને નુકસાન ન થાય તેવા પ્રકારની નીતિ બનાવવા જઈ રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ મામલે વહેલામાં વહેલી તકે સરકાર દ્વારા સુખદ ઉકેલ લાવવામાં આવે જેથી ખેડૂતોને કોઈ પણ પ્રકારની હાલાકી ભોગવવી ન પડે. તેમણે મીડિયાનાં માધ્યમથી સરકારને આ અંગે વહેલી તકે યોગ્ય પગલાં ભરવા માટે અપીલ પણ કરી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક