ખાતાકીય તપાસોમાં ફરજ પ્રત્યેની
ગંભીર બેદરકારીના આરોપસર જે.જે. પંડ્યા સામે કાર્યવાહી
અમદાવાદ, તા. 22: રાજ્ય સરકારે
સરદાર સરોવર નર્મદા નિગમમાં અધિક્ષક ઇજનેર (આલેખન) વર્તુળ ગાંધીનગરના અધિક્ષક ઇજનેર
જે.જે. પંડ્યાને તાત્કાલિક અસરથી સરકારી સેવામાંથી અપરિપક્વ નિવૃત્ત એટલે કે પ્રી-મેચ્યોર
રિટાયર્ડ કરવાનો આદેશ કર્યો છે. તેમની સામે
હાલ ચાલી રહેલી ખાતાકીય તપાસોમાં ફરજ પ્રત્યે નિષ્ઠા અને પ્રમાણિકતાનો સંપૂર્ણ અભાવ
તેમજ ફરજ પ્રત્યેની ગંભીર બેદરકારીના આરોપો છે.
એટલું જ નહીં, તેમની સામે અગાઉની ખાતાકીય તપાસમાં તેમની સામેના તમામ સાત આરોપો
મળીને સરકારને મોટું નાણાકીય નુકસાન પણ થયેલું છે. તેમના સમગ્ર સેવાકાળ દરમિયાનની તેમની
સામે ખાતાકીય તપાસની ગંભીરતા ધ્યાનમાં લેતાં, તેમનું આચરણ અને પ્રતિષ્ઠા એવી છે કે
તેમની સેવાઓ ચાલુ રાખવી એ જાહેર સેવામાં ખતરો અને જાહેરહિત માટે હાનિકારક છે. આ બધા
જ સંજોગો ધ્યાનમાં લઈને વર્ગ- 1 અધિક્ષક ઇજનેર જે.જે. પંડ્યાને 55 વર્ષની વય પછી તાત્કાલિક
અસરથી સેવામાંથી અપરિપક્વ નિવૃત્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તદ્દઅનુસાર
ગઈકાલે 21 જૂન 2024ના બપોર બાદ તાત્કાલિક અસરથી સરકારી સેવામાંથી અપરિપક્વ નિવૃત્ત
કરવાના આદેશો કરવામાં આવ્યા છે.