• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

આંગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખી 65 લાખની લૂંટ

એલીસબ્રીજ જીમખાના પાસે બાઈકમાં આવેલા બે શખસ લૂંટ ચલાવી ફરાર

અમદાવાદ, તા.10: અમદાવાદમાં ફરી આંગડિયા કર્મચારીને લૂંટી લેવાની ઘટના બની છે. શહેરના એલિસબ્રિજ જીમખાના પાસે બનેલી ઘટનામાં આંગળીયા પેઢીના કર્મચારી પાસેથી લાખો રૂપિયાની લૂંટ ચલાવાઈ છે. લૂંટારાઓએ કર્મચારીઓના આંખમાં મરચાની ભૂકી નાંખીને લૂંટને અંજામ આપ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી છે.

અહેવાલો મુજબ શહેરના એલિસબ્રિજ જીમખાના પાસે આંગડિયા કર્મચારી પાસેથી રૂપિયા 6પ લાખની લૂંટ કરવામાં આવી છે. કર્મચારી રીક્ષામાં હતો, ત્યારે બાઈક પર આવેલા બે લુટારાઓએ લૂંટને અંજામ આપ્યો હોવાની વિગતો સાંપડી છે. લુટારાઓ કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાંખી લાખો રૂપિયાની લૂંટ ચલાવી છે.

મળતી વિગતો મુજબ આંગડિયા પેઢીનો કર્મચારી જમાલપુર એપીએમસી માર્કેટમાંથી નીકળ્યો હતો, જો કે તેઓ રિક્ષામાં એલિસબ્રિજ જીમખાના પાસે પહોંચતા જ લૂંટનો ભોગ બન્યો છે. આ ઘટનામાં એવી પણ વિગતો મળી છે કે, લુટારાઓએ લૂંટને અંજામ આપવા માટે એરગનથી પણ ફાયરિંગ કર્યુ હતું. હાલ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક