• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

માસૂમ પુત્રી પર દુષ્કર્મ આચરનાર સાવકા પિતાને આજીવન કેદ

અમદાવાદ, તા.4: અમદાવાદના વત્રાલમાં પોતાની સગીર પુત્રીને દુષ્કર્મનો શિકાર બનાવનાર નરાધમ સાવકા, બાપને અંતિમ શ્વાસ સુધી કેદની આકરી સજા ફટકારતો ચુકાદો કર્યો છે. પોકસો સ્પેશિયલ જજે સંવેદનશીલ અને માર્મિક અવલોકન કરતાં જણાવ્યું કે ભોગ બનનાર કિશોરી બે વર્ષની હતી ત્યારથી તે આરોપી સાથે રહે છે.

આટલી નાનીવયની બાળકી પર પિતા તુલ્ય ભાવ જ આવવો જોઇએ. પિતા પર દીકરીના રક્ષણ અને ભવિષ્યની જવાબદારી રહેલ છે તે નિભાવવાના સ્થાને ભોગ બનનાર બાળકી તથા દીકરો ઘેર એકલા છે, તેવું જાણતા હોવા છતાં આરોપી સાવકા પિતાએ દારૂ પીને આવીને વાસના ભરી દૃષ્ટિએ બાળકીને શિકાર બનાવી હતી. ફરિયાદીએ દીકરીના પિતા તરીકે મૂકેલ વિશ્વાસ અને ભરોસાનો આરોપીએ ગેરલાભ ઉઠાવીને ગુનો આચર્યો હતો. આમ ગુનાની ગંભીરતા ધ્યાને લઇને અને સમાજનું હિત જોઇને આરોપીને જીવનના અંતિમ શ્વાસ  સુધીની સજા ફટકારવી ન્યાયના હિતમાં  જરૂરી છે.

સરકારી વકીલે આરોપીને સખતમાં સખત સજા ફટકારવાની દલીલો કરતાં જણાવ્યું હતું કે આરોપીના ફરિયાદી માતા સાથે બીજા લગ્ન હતા અને ફરિયાદીના પણ આ બીજા લગ્ન હતા. જો કે ફરિયાદીની પહેલા લગ્નથી થયેલી પુત્રી તેમની સાથે રહેતી હતી. નોંધનીય છે કે  આરોપી 11-11-2019ના રોજ દારૂ પીને ઘરે આવ્યો હતો, ત્યારે પોતાની સગીર પુત્રી પર જ નજર બગાડી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું ત્યાર બાદ બાળકીએ તેની માતાને બીજા દિવસે જાણ કરી હતી. ફરિયાદી માતાએ પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક