• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

ધ્રાંગધ્રાના માલવણ હાઈવે પર રિક્ષા અકસ્માતમાં યુવાનનું મૃત્યુ : બે ઘાયલ

પીપળીધામથી ધોરી ગામે આવતી વેળાએ નડયો અકસ્માત : ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા

 

ધ્રાંગધ્રા,તા.23: સુરેન્દ્રનગર જિલ્લાના પીપળીધામથી ધ્રાંગધ્રા તાલુકાના ધોરી ગામે પરત આવતા સમય જ્યોતિ હોટલ નજીક રિક્ષાનો અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકો ઘાયલ થતા હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લાનું ધ્રાંગધ્રા અકસ્માતનું હબ બન્યું હોય તેમ અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા અનેક નિર્દોષ જિંદગીઓ મોતને ભેટી રહી છે ત્યારે વધુ એક અકસ્માતમાં પીપળીધામથી ધ્રાંગધ્રા તરફ વિજયભાઈ રમણીકભાઈ લકુમ તથા સાથી મીત્ર રીક્ષા મારફતે આવતા હતા દરમ્યાન ધ્રાંગધ્રા માલવણ હાઇવે જ્યોતિ હોટલ નજીક રીક્ષાનો અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું.આ અકસ્માતમાં વિજયભાઈ રમણીકભાઈ લકુમ તથા અન્ય બે વ્યક્તિ ઘાયલ થયેલા જેને સારવાર અર્થે 108ની મદદથી ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વિજયભાઈ રમણીકભાઈ લકુમનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ધાયલ થયેલા વ્યકિત હાલ સારવાર હેઠળ છે.ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઇ હતી અકસ્માત અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક