• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

યુક્રેનમાં યુદ્ધ લડતા ભારતીયો જલદી વતન પરત આવશે રશિયામાં ઙખ મોદીએ અપીલ કરતા પુતિને નિર્ણય કર્યો

રશિયા, તા.9 : વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર કોરોના  બાદ પ્રથમ વખત મોસ્કો ગયા છે. બંને વચ્ચે આ બેઠક ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. રશિયાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન સેનામાં કામ કરી રહેલા ભારતીયોના સ્વદેશ પરત આવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ પછી રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને કહ્યું કે ભારતીયો જલદી  જ દેશમાં પરત ફરશે.

અગાઉ એવા અહેવાલો સામે આવ્યા હતા કે ભારતીય નાગરિકોને રશિયન સેના સાથે યુક્રેન સામે લડવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. ભારતીયોને છેતરપિંડીથી સરહદ પર સુરક્ષા સહાયક તરીકે કામ કરવા મોકલવામાં આવી રહ્યા છે. એક રિપોર્ટથી જાણવા મળ્યું હતું કે એક એજન્ટે માહિતી આપી હતી કે નવેમ્બર 2023થી લગભગ 18 ભારતીયો રશિયા- યુક્રેન બોર્ડર પર ફસાયેલા છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હૈદરાબાદનો એક યુવક પણ ફસાઇ ગયો હતો. યુવકે સોશિયલ મીડિયા દ્વારા ભારત સરકારને મદદ માટે અપીલ કરી હતી. જે બાદ પીડિત પરિવારે અઈંખઈંખ સાંસદ અસદુદ્દીન ઓવૈસીનો સંપર્ક કર્યો હતો. આ અંગે ઓવૈસીએ 25 જાન્યુઆરીએ વિદેશમંત્રી એસ જયશંકર અને મોસ્કોમાં ભારતીય દૂતાવાસને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે યુવાનોની વાપસી માટે સરકાર પાસે હસ્તક્ષેપની માગ કરી હતી.

---------

મોદીએ ગણગણ્યું, સર પે લાલ ટોપી રુસી...

મોસ્કોમાં ભારતીય સમુદાયને વડાપ્રધાનનું સંબોધન : રશિયામાં તાપમાન શૂન્યથી નીચે સરકી જાય તો પણ બન્ને દેશ વચ્ચે હૂંફ કાયમ રહે છે

મોસ્કો, તા.9: રશિયાના બે દિવસીય પ્રવાસમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોસ્કોમાં ભારતીય સમુદાયને પણ મળ્યા હતાં અને સંબોધન કર્યું હતું. આ દરમિયાન મોદીએ ભારત અને રશિયાની મૈત્રીનો ઉલ્લેખ કરીને રશિયામાં પણ અત્યંત લોકપ્રિય રહેલા વિતેલા જમાનાના દિગ્ગજ અભિનેતા રાજ કપૂરની ફિલ્મનું ગીત ‘િસર પે લાલ ટોપી રુસી, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ પણ ગણગણ્યું હતું.

પ્રધાનમંત્રી મોદીએ ભારતીય સમુદાયના કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે, દાયકાઓથી ભારત અને રશિયા વચ્ચે જે અનોખો સંબંધ છે એનો હું ચાહક છું. રશિયા નામ પડતા જ દરેક ભારતીયનાં મનમાં પહેલો શબ્દ સુખ-દુ:ખનાં સાથી આવી જાય છે. ભારતનો ભરોસાપાત્ર મિત્ર દેશ. ઠંડી ઋતુમાં રશિયામાં તાપમાન શૂન્યથી નીચે સરકી જાય તો પણ બન્ને દેશ વચ્ચે હૂંફ કાયમ રહે છે.

પીએમ મોદીએ કહ્યું કે, આજે ભારત જે પણ લક્ષ્ય નક્કી કરે છે, તે સફળ રહે છે. આજે ભારત એ દેશ છે જેણે ચંદ્રયાન-3 એ સ્થાને મોકલ્યું છે જ્યાં વિશ્વનો કોઈ અન્ય દેશ પહોંચી શક્યો નથી. આજે ભારત એવો દેશ છે જે વિશ્વને ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું સૌથી વિશ્વસનીય મોડલ આપી રહ્યું છે. આજે ભારત એક એવો દેશ છે જે ઉત્તમ સામાજિક ક્ષેત્રની નીતિઓ વડે તેના નાગરિકોને સશક્ત બનાવી રહ્યો છે. આજે ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવતો દેશ છે.

મોદીએ કહ્યું કે હું એકલો નથી આવ્યો. હું મારી સાથે ભારતની માટીની સુવાસ લઈને આવ્યો છું. હું મારી સાથે 140 કરોડ દેશવાસીનો પ્રેમ લઈને આવ્યો છું. હું તમારા માટે તેમની શુભકામનાઓ લઈને આવ્યો છું.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું કે જ્યારે ભારત જી20નું સફળતાપૂર્વક આયોજન કરે છે ત્યારે દુનિયા કહે છે કે ભારત બદલાઈ રહ્યું છે. ભારતે માત્ર 10 વર્ષમાં 40 હજાર કિલોમીટરથી વધુ રેલવે લાઇનોનું વિદ્યુતીકરણ કર્યું ત્યારે વિશ્વને પણ ભારતની શક્તિનો અહેસાસ થાય છે. તેમને લાગે છે કે દેશ બદલાઈ રહ્યો છે. આજે જ્યારે ભારત ડિજિટલ પેમેન્ટના નવા નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. આજે જ્યારે ભારત એલવન પોઇન્ટથી સૂર્યની ફરતે ક્રાંતિ પૂર્ણ કરે છે, આજે જ્યારે ભારત વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ બનાવે છે, આજે જ્યારે ભારત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ કરે છે ત્યારે વિશ્વ કહે છે કે ભારત ખરેખર છે.

આ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું તેમના સત્તાવાર નિવાસસ્થાને સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પુતિને પીએમ મોદીને તેમની જીત પર અભિનંદન આપ્યા અને તેમના કામની પ્રશંસા કરી. મહત્ત્વનું છે કે, વડાપ્રધાન મોદીને મિત્ર કહીને આવકાર આપ્યા બાદ પુતિન પોતે ઇલેક્ટ્રિક કાર ચલાવીને મોદીને પોતાનાં ઘરે લઈ ગયા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક