• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

સરકાર પ્રજ્ઞાચક્ષુઓને નોકરી દે : સુપ્રીમ

દિવ્યાંગજનના કાયદાની જોગવાઇનો અમલ ન કરવા બદલ ટોચની કોર્ટે સરકારની ટીકા કરી

નવી દિલ્હી, તા. 10 : સુપ્રીમ કોર્ટે દિવ્યાંગજન અધિનિયમની જોગવાઇઓને લાગુ કરવા બદલ કેન્દ્ર સરકારની  ટીકા કરી હતી. ટોચની અદાલતે સિવિલ સર્વિસની પરીક્ષામાં સફળ થયેલા 11 પ્રજ્ઞાચક્ષુ ઉમેદવારને ત્રણ મહિનાની અંદર નોકરી આપવાનો આદેશ આપ્યો હતો.

ન્યાયમૂર્તિ અભય ઓકા અને પંકજ મિત્તલની ખંડપીઠે 100 ટકા દૃષ્ટિબાધિત પંકજ શ્રીવાસ્તવ સંબંધીત મામલામાં કેન્દ્ર સરકારની અપીલ પર આ આદેશ જારી કર્યો હતો.

હકીકતમાં પંકજ શ્રીવાસ્તવે સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી, પરંતુ તેમને નોકરીમાં નિયુક્તિ આપવાનો સરકારે ઇન્કાર કરી દીધો હતો.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે 1996થી 2009 સુધી દિવ્યાંગજનોના કાયદા હેઠળ ‘અનામત’ની જોગવાઇ અમલી કરી નહોતી.

પંકજે ખાલી પડેલી જગ્યાઓ પર આ કાયદાની જોગવાઇ હેઠળ પોતાની નિયુક્તિ નહીં કરવાના ફેંસલાને પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે પંકજ શ્રીવાસ્તવ ઉપરાંત, 2008ની પરીક્ષામાં સફળતા મેળવી હતી, તેવા અન્ય 10 ઉમેદવારની પણ નિયુક્તિ કરવાનો સરકારને નિર્દેશ આપ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક