દેશનાં એકમાત્ર રાજ્ય, બંગાળમાંથી થાય છે ઘૂસણખોરી : અમિત શાહનો આરોપ
નવીદિલ્હી, તા.28: બંગાળ વિધાનસભા
ચૂંટણી પહેલા ગૃહમંત્રી અમિત શાહે આજે કોલકાતામાં રાજ્યની તૃણમૂલ સરકાર વિરુદ્ધ ‘ચાર્જશીટ’
જાહેર કરી હતી અને પત્રકાર પરિષદને સંબોધતા શાહે મુખ્યમંત્રી મમતા બેનરજી અને તેમના
વહીવટ પર નિશાન સાધ્યું છે. અમિત શાહે ભારપૂર્વક કહ્યું હતું કે, બંગાળ એકમાત્ર એવું
રાજ્ય છે જ્યાંથી ઘૂસણખોરી થાય છે અને જેનાં કારણે સમગ્ર દેશમાં અશાંતિ ફેલાય છે.
ઘૂસણખોરીના મુદ્દે શાહે કહ્યું
હતું કે, ભાજપ સરકાર બન્યા પછી દેશમાં ઘૂસણખોરી લગભગ બંધ થઈ ગઈ છે. હવે ફક્ત એક જ રસ્તો
બાકી છે જેના દ્વારા ઘૂસણખોરો સમગ્ર દેશમાં ફેલાય છે, જેનાં કારણે રાષ્ટ્રીય સુરક્ષા
સાથે ચેડા થાય છે. આજે અમે ટીએમસી સરકારના 15 વર્ષનાં શાસન સામે ચાર્જશીટ રજૂ કરી છે.
આ ચાર્જશીટ મમતા બેનર્જી વહીવટ સામે બંગાળના લોકોની ફરિયાદોનું પ્રતિનિધિત્વ કરે છે.
ફરિયાદો જેનો ભાજપ હવે અવાજ ઉઠાવી રહી છે. સારમાં બંગાળના લોકોએ આગામી ચૂંટણીઓમાં નિર્ણય
લેવો જોઈએ કે ડર પસંદ કરવો કે વિશ્વાસ. તેમણે કહયું હતું કે, આ ચાર્જશીટ છેલ્લાં
15 વર્ષમાં ટીએમસી સરકારના નાપાક કાર્યોનું સંકલન છે. તે એક એવા શાસનની વાર્તા કહે
છે જેણે ‘સોનાર બાંગ્લા’નાં સ્વપ્નને લટકાવતા, રાજ્યની જનતાનું શોષણ કરવા માટે ‘િસન્ડિકેટ
રાજ’ સ્થાપિત કર્યું. ટીએમસીના કુશાસન હેઠળ, બંગાળ ભ્રષ્ટાચાર માટે પ્રયોગશાળામાં પરિવર્તિત
થઈ ગયું છે. ઉપરથી નીચે સુધી કાર્યરત ગુનાહિત સિન્ડિકેટ જનતાને ત્રાસ આપી રહ્યા છે.