કોલકાતા, તા. 28 : પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (સર) પ્રક્રિયા હેઠળ કોલકાતા હાઈકોર્ટના પૂર્વ જજ શાહિદુલ્લાહ મુનશીનું નામ મતદારયાદીમાં ‘નોટ ફાઉન્ડ’ ગણાવી દીધું છે. ચોંકાવનારી વાત એ છે કે, તેમણે બે વાર પોતાના દસ્તાવેજ જમા કરાવ્યા હતા અને ચૂંટણીપંચની ચકાસણી પ્રક્રિયામાંથી પણ પસાર થયા હતા. પૂર્વ જજે કહ્યું કે, ‘મને સમજાતું નથી કે મારે કોનો સંપર્ક કરવો.’
પૂર્વ જજ મુનશી અને તેમના પરિવારના
સભ્યોનાં નામ મતદારયાદીના પહેલા ડ્રાફ્ટમાં પણ સામેલ ન હતા. મુનશીએ જણાવ્યું કે, ‘પ્રથમ
એસઆઈઆર નોટિફિકેશન જારી થયા બાદ મેં મારી પત્ની અને દીકરા સાથે બૂથ લેવલ ઓફિસર (બીએલઓ)ને
તમામ જરૂરી દસ્તાવેજ આપ્યા હતા. ડ્રાફ્ટમાં નામ ન આવવા બદલ અમે ચિંતિત થયા હતા. ત્યારબાદ
અમને એન્ટાલી સ્થિત ચૂંટણીપંચની ઓફિસમાં બોલાવવામાં આવ્યા, જ્યાં અધિકારીઓએ દસ્તાવેજોની
નવેસરથી ચકાસણી કરી હતી. ત્યાં મેં ફરીથી બધા ડોક્યુમેન્ટ આપ્યા અને અધિકારીઓએ મને
ખાતરી આપી કે હવે આ મામલો ઉકેલાઈ જશે.
સત્તાવાર આંકડા પ્રમાણે ગત વર્ષે
નવેમ્બરમાં સર પ્રક્રિયા શરૂ થઈ ત્યાર બાદથી મતદારોની સંખ્યા લગભગ 8.3 ટકા એટલે કે
63.66 લાખ નામો હટાવી દેવામાં આવ્યાં છે. આનાથી મતદારોની સંખ્યા લગભગ 7.66 કરોડથી ઘટીને
7.04 કરોડ રહી ગઈ છે. તેના ઉપરાંત 60.06 લાખથી વધુ મતદારોને વિચારાધીન શ્રેણીમાં રાખવામાં
આવ્યા છે અને ન્યાયિક અધિકારીઓ દ્વારા ચકાસણીનાં માધ્યમથી મતદારો તરીકે તેમની યોગ્યતા
નક્કી કરવામાં આવી રહી છે.