- બેંકમાં રોકડ જમા કરાવવા, નવું પાન કાર્ડ કઢાવવા સહિતની બાબતોમાં થશે બદલાવ
નવી
દિલ્હી, તા. 28 : આધાર કાર્ડની જેમ પાન કાર્ડ પણ એક જરૂરી દસ્તાવેજ છે. દરેક વિત્તીય
કામ માટે પાન કાર્ડનો ઉપયોગ થાય છે. બેંકમાં પૈસા જમા કરાવવા, કેવાયસી કરાવવા અને ટેક્સ
ફાઈલ કરવા તેનો જ ઉપયોગ કરવામાં આવે છે. હવે પાન કાર્ડ સંબંધિત નિયમોમાં પહેલી એપ્રિલે
ઘણા બદલાવ થવા જઈ રહ્યા છે. જેમાં નિયમોને આકરા બનાવવામાં આવ્યા છે. આ બદલાવથી પાન
બનાવવાથી લઈને બેંકમાં પૈસા જમા કરાવવા સુધીની રીતમાં ફેરફાર આવી જશે.
1) પાન કાર્ડ બનાવવાના નિયમો સખત : પાન બનાવવા માટે
માત્ર આધાર કાર્ડ જ નહીં અન્ય ડોક્યુમેન્ટ પણ આપવા પડશે. માત્ર આધાર ઉપર હવેથી પાન
મળશે નહી. આધાર ઉપરાંત અન્ય ડોક્યુમેન્ટમાં જન્મનું પ્રમાણપત્ર અથવા ડ્રાઈવિંગ લાયસન્સ પણ હોય શકે છે. સીધા શબ્દોમાં
કહેવામકાં આવે તો સરનામાના પ્રૂફ તરીકે એક અન્ય દસ્તાવેજની જરૂર પડી શકે છે.
2) પાન ઉપર બેંક ટ્રાન્ઝેક્શન લિમિટમાં ફેરફાર : પહેલી
એપ્રિલથી પાન ઉપર બેંક ટ્રાન્ઝેક્શનની લિમિટ બદલી જશે. પહેલા 50 હજાર રૂપિયાથી વધુની
રોકડ બેંકમાં જમા કરાવવા માટે પાન બતાવવું પડતું હતું. જેનો ફાયદો ઉઠાવીને લોકો 49
હજાર કે 48 હજાર રૂપિયા જ જમા કરાવતા હતા. જો કે હવે આવી લિમિટ ખતમ કરી દેવામાં આવી
છે અને વાર્ષિક આધારે લિમિટ લગાડવામાં આવી છે. જો વર્ષમાં બેંક એકાઉન્ટમાં 10 લાખ રૂપિયા ડિપોઝિટ કરાવવામાં
આવે તો પાન બતાવવું અનિવાર્ય રહેશે.
3) મોટર વ્હીકલમાં પાનને લઈને નિયમ બદલશે : પહેલા
દરેક મોટર વ્હીકલ ખરીદવા ઉપર પાન કાર્ડ આપવું પડતું હતું. જો કે હવે નિયમ બદલાય જશે.
જો પાંચ લાખથી વધારેનું વાહન ખરીદવામાં આવે તો પાન કાર્ડ આપવું પડશે. પછી ભલે ટૂ વ્હીલર
હોય કે ફોર વ્હીલર. પાંચ લાખ રૂપિયાની મર્યાદા ઓળંગી તો પાન આપવું જ પડશે.
4) પ્રોપર્ટી સંબંધિત ફેરફાર : જો કોઈ પ્રોપર્ટી ખરીદવામાં
આવે અને તેનું રજીસ્ટ્રેશન કરાવાય તો રજીસ્ટ્રેશન વેલ્યુ અથવા સર્કલ રેટ 10 લાખ રૂપિયા
હોવા ઉપર પાન કાર્ડ આપવું પડે છે. હવે આ મર્યાદા વધારીને 20 લાખ કરી દેવામાં આવી છે.
આ નિયમ પણ 1 એપ્રિલથી લાગુ થશે.
5) હોટલ કે રેસ્ટોરાં બિલમાં પાન : પહેલા રેસ્ટોરાં
બિલ કે હોટલ બિલ રોકડમાં સેટલ કરવા માટે 50 હજારથી વધુ રૂપિયામાં પાન કાર્ડ આપવું પડતું
હતું. જો કે હવે આ મર્યાદા વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે. આવી જ રીતે વીમા
પ્રીમિયમ 50 હજારથી ઉપર જમા કરાવવા પાન આપવું પડતું હતું તેમાં પણ ફેરફાર થયો છે.
6) બે લાખથી વધુના ટ્રાન્ઝેક્શનમાં : પાનને લઈને અન્ય
ટ્રાન્ઝેક્શન લિમિટમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી પણ જો કોઈ ટ્રાન્ઝેક્શન હેઠળ પાન
બતાવવાની અનિવાર્યતા નથી તો એવી શરતમાં કોઈપણ રીતના બે લાખથી ઉપરની લેવડદેવડમાં પાન
કાર્ડ બતાવવું અનિવાર્ય રહેશે.