• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

પેટ્રોલ-ડીઝલ 20 રૂપિયા સસ્તાં થઇ શકે

મોદી સરકાર પેટ્રોલ-ડીઝલને ઋજઝ હેઠળ લાવવાની તૈયારીમાં

નવી દિલ્હી, તા. 23 : આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા પર વિચાર કરી રહી છે. જો આમ થશે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 20 રૂપિયા પ્રતિ લિટર સુધી ઘટાડો થઈ શકે છે. એટલે કે, દિલ્હીના હિસાબે તેની કિંમત 75 રૂપિયા પ્રતિ લિટર થઈ શકે છે.

ગઈકાલે શનિવારે નાણામંત્રી નિર્મલા સીતારામને જીએસટી કાઉન્સિલની બેઠક યોજી હતી, જેમાં નાણામંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા માટે તૈયાર છે. હવે આ અંગે રાજ્યોએ નિર્ણય લેવાનો છે. રાજ્યોએ સાથે મળીને તેના દર નક્કી કરવા પડશે.

હાલમાં, જ્યારે દિલ્હીમાં 94.72 રૂપિયાના એક લિટર પેટ્રોલમાંથી 35.29 રૂપિયા વેરા તરીકે કેન્દ્ર અને રાજ્ય સરકારોના ખિસ્સામાં જાય છે. એટલે કે, માત્ર 59.43 રૂપિયાનું પેટ્રોલ મળ્યું. આનાથી સામાન્ય લોકોના ખિસ્સા પર ભાર પડે છે, સાથે જ સરકારની તિજોરી છલોછલ ભરાય છે.

હાલમાં દરેક રાજ્ય પેટ્રોલ અને ડીઝલ પર તે મુજબ વેરા લાદે છે. કેન્દ્ર તેની ડયૂટી અને સેસ પણ અલગથી વસૂલ કરે છે. પેટ્રોલ અને ડીઝલની મૂળ કિંમત હાલમાં 55.46 રૂપિયા છે. કેન્દ્ર સરકાર તેના પર 19.90 રૂપિયા એક્સાઈઝ ડયૂટી વસૂલ કરી રહી છે. આ પછી રાજ્ય સરકારો પોતાની રીતે વેટ અને સેસ વસૂલ કરે છે. આ કારણે તેમની કિંમત મૂળ કિંમત કરતાં લગભગ બે ગણી વધી જાય છે. જો સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવે છે, તો તેમની કિંમતોમાં 20 રૂપિયા પ્રતિ લિટર સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. આ સિવાય સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ લગભગ સરખા થઈ જશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક