ઘટતા છૂટક ફુગાવા વચ્ચે RBIની મૌદ્રિક નીતિ જાહેર : આ વર્ષે 4 વખત ઘટાડો, GDP વૃદ્ધિનો અંદાજ 7.3 ટકા
નવી
દિલ્હી તા.પ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં 0.રપ ટકાનો ઘટાડો કર્યો છે જેને
કારણે આગામી દિવસોમાં લોન સસ્તી થશે અને વર્તમાન ઈએમઆઈમાં ઘટાડો થશે. આ વર્ષે 4 વખત
રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઘટતા છૂટક ફુગાવા વચ્ચે ફેબ્રુઆરીથી ત્રણ હપ્તામાં
રેપો રેટમાં કુલ એક ટકાનો ઘટાડો કર્યો હતો. છેલ્લા બે વખત રેપો રેટ 5.5 ટકા પર સ્થિર
રાખવામાં આવ્યો હતો. રેપો રેટ ઘટવાથી હાઉસિંગ ક્ષેત્રે માગ વધવાનો અંદાજ છે.
શુક્રવારે
સવારે મોનેટરી પોલિસી કમિટી (એમપીસી) ની ત્રણ દિવસીય બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની
આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરતાં કહયું કે રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો
કરવામાં આવ્યો છે. દ્વિ-માસિક મોનેટરી પોલિસી સમીક્ષા રજૂ કરતાં તેમણે જણાવ્યું હતું
કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ સર્વાનુમતે મુખ્ય પોલિસી રેટ, રેપો
રેટ 0.25 ટકા ઘટાડીને 5.25 ટકા કરવાનો નિર્ણય લીધો છે. આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ
2025-26 માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ વધારીને 7.3 ટકા કર્યો છે.
ભારતની
આર્થિક વૃદ્ધિ મજબૂત છે, ફુગાવો ઐતિહાસિક રીતે નીચા સ્તરે છે અને ભારતીય રૂપિયો પ્રતિ
યુએસ ડોલર લગભગ 90 રૂપિયાના રેકોર્ડ નીચા સ્તરે છે તેવા સમયે આરબીઆઈની સમીક્ષા નીતિ
જાહેર થઈ છે. આ વર્ષે આરબીઆઈએ ફેબ્રુઆરીથી શરૂ થયેલી ચાર બેઠકોમાં રેપો રેટમાં કુલ
125 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. ઓક્ટોબર પોલિસીમાં રેપો રેટને 5.50% પર યથાવત રાખ્યો
અને નીતિગત વલણને તટસ્થ રાખ્યું હતું. આરબીઆઈએ 2026 ના જીડીપી વૃદ્ધિ અનુમાનને અગાઉના
6.5% થી વધારીને 6.8% કર્યું અને 2026 ના સીપીઆઈ ફુગાવાના અનુમાનને અગાઉના 3.1% થી
ઘટાડીને 2.6% કર્યું છે.