• મંગળવાર, 17 જૂન, 2025

વિદ્યાર્થીઓનું વેકેશન પૂરું, હવે જંગલમાં વનરાજોનું વેકેશન શરૂ

ચોમાસું શરૂ થતાં 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી સહેલાણીઓ માટે ગીર અભયારણ્યમાં પ્રવેશ બંધ

રાજકોટ, તા. 15: 9મી જુનથી વિદ્યાર્થીઓનું વેકેશન પૂરું થયું છે, શાળાઓ શરૂ થઈ છે ત્યારે હવે આજે તારીખ 15મી જુનથી ગીર જંગલમાં વનરાજોનું વેકેશન શરૂ થયું છે. અર્થાત્ ચોમાસું શરૂ થતાં આજથી ગિર જંગલમાં સિંહ દર્શન માટે તેમજ અભયારણ્યમાં સહેલાણીઓનો પ્રવેશ પ્રતિબંધિત થયો છે.

ચોમાસામાં ગિર જંગલમાં કાચા રસ્તાઓ પરથી વાહન પસાર થઈ શકે એવી સ્થિતિ હોતી નથી. તેમજ ચોમાસાનો સમય સિંહ પ્રજાતિનો સંવનન કાળ હોય છે. આ પરિસ્થિતિમાં તારીખ 15 જુનથી 16  ઓક્ટોબર સુધી ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે. નિષ્ણાતો આ નિર્ણયને વન્યજીવ સંરક્ષણની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માને છે.

 પ્રવાસીઓ બે સ્થળોએથી સિંહદર્શન કરી શકે છે. એક આરક્ષિત ગીર જંગલમાં મુક્ત વિહરતા સિંહો અને બીજું દેવળિયા સફારી પાર્કના મિની જંગલમાં રહેતા સિંહો. ચોમાસા દરમિયાન આરક્ષિત જંગલમાં સિંહદર્શન બંધ રહે છે. જોકે ચોમાસાની મોસમમાં પણ વરસાદ ન હોય ત્યારે દેવળિયા સફારી પાર્ક સહેલાણીઓ માટે ખુલ્લું રાખવામાં આવે છે. ગીર જંગલ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. ત્યારે 2024-25માં અત્યાર સુધીમાં 8 લાખ 50 હજાર પ્રવાસીઓએ સિંહદર્શન કર્યું છે. અને પ્રવાસીઓની સંખ્યામાં ઉતરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક