• મંગળવાર, 17 જૂન, 2025

ન્યુઝીલેન્ડના ભારત પ્રવાસનું એલાન : કોહલી-રોહિત રમશે

ત્રણ વનડે અને પાંચ T-20ની શ્રેણી : વડોદરામાં 15 વર્ષ બાદ રમાશે મેન્સ ક્રિકેટ, બીજો વનડે રાજકોટમાં

નવી દિલ્હી, તા. 15 : બીસીસીઆઈએ ન્યુઝીલેન્ડના ભારત પ્રવાસનું એલાન કરી દીધું છે. કીવી ટીમ આગામી વર્ષ એટલે કે 2026ની શરૂઆતમાં ભારતના પ્રવાસે ત્રણ વનડે અને પાંચ ટી20ની શ્રેણી રમશે. માર્ચ 2025મા થયેલી ચેમ્પિયન્સ ટ્રોફી બાદ બન્ને ટીમ પહેલી વખત ટકરાશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા ટી20 અને ટેસ્ટ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે. તેવામાં આ બન્નેની જોડી ન્યુઝીલેન્ડ સામે વનડે શ્રેણીમાં એક્શનમાં જોવા મળશે. ન્યુઝીલેન્ડના ભારત પ્રવાસની શરૂઆત 11 જાન્યુઆરીના થનારા પહેલા વનડે મેચથી થશે. જ્યારે શ્રેણીનો અંત 31 જાન્યુઆરીના અંતિમ ટી20 મેચ સાથે થશે.

આગામી ટી20 વિશ્વકપ 2026ને ધ્યાને રાખીને ભારત માટે આ શ્રેણી ખુબ જ મહત્ત્વની બની રહેશે. 2026ના ફેબ્રુઆરી માર્ચમાં ભારત અને શ્રીલંકા મળીને ટી20 વિશ્વકપની મેજબાની કરવાના છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલો વનડે મેચ વડોદરામાં મળશે. 15થી વધુ વર્ષમાં પહેલી વખત આ મેદાન ઉપર પુરુષ ક્રિકેટની કોઈ મેચ રમાશે. વડોદરાએ મેન્સ ક્રિકેટના અંતિમ મેચની મેજબાની 2010મા કરી હતી. તે સમયે પણ ન્યુઝીલેન્ડની ટીમ સામેલ હતી.

બાદમાં બીજા વનડેની મેજબાની રાજકોટને મળી છે. જે 14 જાન્યુઆરીના રોજ રમાશે. બાદમાં 18 જાન્યુઆરીએ ઈન્દોરમાં વનડે શ્રેણીનું સમાપન થવાનું છે. બાદમાં 21 જાન્યુઆરીએ નાગપુરમાં અને 23 જાન્યુઆરીએ રાયપુરમાં પહેલા બે ટી20 મેચ રમાશે. રાયપુરના મેચ બાદ ટીમ દક્ષિણ તરફ જશે. જેમાં 25 જાન્યુઆરીએ ગુવાહાટી, 28 જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમ અને 31 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં ટી20 મેચ રમાશે.

ઇ-પેપરના નવા શુલ્ક