ગૃહમંત્રીએ
ભાજપ નેતાઓને અસંવેદનશીલ નિવેદનો આપવાથી બચવા સલાહ આપી
નવી
દિલ્હી, તા. 16 : કર્નલ સોફિયા કુરૈશી અને ઓપરેશન સિંદૂર જેવા મામલે વિવાદાસ્પદ નિવેદનો
આપનારા ભાજપના નેતાઓને અમિત શાહે સખત ચેતવણી આપી છે. ગૃહ મંત્રી અને ભાજપના વરિષ્ઠ
નેતા અમિત શાહે એક કાર્યક્રમમાં પક્ષના નેતાઓને અસંવેદનશિલ નિવેદનો આપવાથી બચવાની સલાહ
આપી હતી. શાહે કહ્યું હતું કે આવી ભૂલો ફરીથી થવી જોઈએ નહી. અમિત શાહ મધ્યપ્રદેશના
પંચમઢીમાં ભાજપ નેતાઓ માટે આયોજીત એક પ્રશિક્ષણ શિબિરના ઉદ્ઘાટનમાં પહોંચ્યા હતા. શિબિરમાં
સાંસદો અને વિધાયકોને સંબોધિત કરતા અમિત શાહે ભાર મૂકીને કહ્યું હતું કે, ભાષણ આપતા
સમયે સંયમ રાખવો સૌથી મહત્ત્વપૂર્ણ છે. અમિત
શાહની આ ટિપ્પણી એવા સમયે આવી છે. જ્યારે મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ, ઉપમુખ્યમંત્રી
જગદીશ દેવડા અને નરેન્દ્ર પ્રજાપતિ જેવા નેતાઓ છેલ્લા અમુક સમયમાં વાંધાજનક નિવેદનો
આપીને વિવાદમાં ઘેરાયા છે.