જેસર,
પાલિતાણા, મહુવા અને વલભીપુરમાં જળબંબાકાર, ગ્રામ્ય વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યા,
તલગાજરડા સંપર્ક વિહોણું
જેસરમાં
11, પાલિતાણા 11.25 સિહોરમાં 10 મહુવામાં 9, ગારિયાધાર 5, ઉમરાળા, 6.5, તળાજા 5.75
ભાવનગરમાં 2 ઇંચ
શેત્રુંજી,
તળાજી નદીમા ઘોડાપૂર : વાલર ગામના બગડનદીમાં ફસાયેલા પાંચ વ્યક્તિનું રેસ્ક્યુ
ભાવનગર,
રાજકોટ, તા.16: ગુજરાતમાં ચોમાસાની પધરામણી વચ્ચે ભાવનગરમાં આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાઈ
છે. જેમાં ભાવનગરના જેસરમાં 11 ઇંચ વરસાદ ખાબકી જતાં ચારેકોર પાણી જ પાણીની સ્થિતિ
સર્જાઈ હતી. પાલિતાણા 11.25 અને સિહોરમાં 10, મહુવામાં 9, ગારિયાધારમાં 5 અને ઉમરાળામાં
6.5, તળાજામાં 5.75, વલભીપુરમાં 3, ભાવનગરમાં 2 ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ પર નદીની માફક
પાણી વહેતા થયા હતા. પાલીતાણા, મહુઆ અને વલભીપુરમાં વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી
હતી. ભારે વરસાદને પગલે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. ગ્રામ્ય વિસ્તારના અનેક ગામ
સંપર્ક વિહોણા બન્યા હતા તેમજ ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વિજપુરવઠો ખોરવાયો હતો.
ધોધમાર વરસાદના કારણે ઘણા ગામના કોઝવે પણ ધોવાઇ ગયા છે. નદીઓ બે કાંઠે વહેવા લાગતા
ખેતરો જળબંબાકાર બન્યા છે.
જેસરમાં
ચારેકોર પાણી પાણી જ જોવા મળતું હતું. લીડકીયા વિસ્તારમાં કેડસમા પાણીના પ્રવાહથી ત્રણ
કલાક જેટલો રસ્તો બંધ રહ્યો હતો અને દોરડાઓ તેમજ માનવ સાંકળ બનાવીને લોકોની મદદ કરવા
જેસરના નવયુવાનો જોડાયા હતા. સાથે સાથે ત્રણ ખુણિયા વિસ્તારમાં લોકોની અવરજવર તેમજ
વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો તથા જેસરમાં આવેલા પાલિતાણા રોડ ઉપર ચાર નાળા પાસે પાણીના
પ્રવાહમાં એક ગાય તણાઈ ગઈ હતી. લીંબડીયા વિસ્તારમાં બોલેરો ગાડી તણાઈ ગઈ હતી જે ગાડીને
પાણીનો પ્રવાહ ઓછો થાય ત્યાં સુધી સાંકળ દ્વારા બાંધી રાખી હતી. પાલિતાણા રોડ ઉપર આવેલા
મકવાણા વાડી વિસ્તારના લોકોના ઘરમાં વરસાદના પાણી ઘૂસી ગયા હતા. જેથી ઉપસરપંચ રાજુભાઈ
બારૈયા દ્વારા તાત્કાલિક ધોરણે જેસીબી મગાવી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. સાથે
સાથે પીજીવીસીએલ દ્વારા મોનસુન કામગીરી ફક્ત કાગળ ઉપર રહી હતી.
ગારીયાધાર
શહેર અને પંથકમાં ગતરાત્રિના ધીમીધારે મેઘરાજાએ શરૂઆત કરી હતી. જે સવાર સુધી અડધો ઇંચ
જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે બપોરે 12 કલાકના અરસામાં શહેર અને પંથકમાં મેઘરાજાએ
ધમાકેદાર બાટિંગ કરતાં પાંચ કલાકમાં સવા પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જેના
કારણે શહેરના આશ્રમ રોડ, પચ્છેગામ રોડ, બાયપાસ રોડ, રૂપાવટી રોડ અને મીઠા કુવા સહિતના
વિસ્તારોમાં વરસાદી પાણી માર્ગો પર ફરી મળ્યા હતા. તેમજ શહેરના આશ્રમ રોડ ખાતે એકાએક
પાણી વધારે પ્રમાણમાં આવી જતા વરસાદી પાણી ઘૂસવાના પ્રશ્નો ઊભા થયા હતા. કેટલાક દુકાનદારોએ
દુકાનો બંધ કરવાના પણ પ્રશ્નો સર્જાયા હતા. ગારીયાધાર તાલુકા નજીક આવેલી મેરામણ નદીમાં
ખાનગી વાહનમાં છ લોકો ફસાઈ જતા મામલતદાર કચેરીની ટીમ અને ઘોબા /મેકડાના ગ્રામજનો દ્વારા
ચાર કલાકની મહા મહેનતે રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા.
પાલીતાણા
શહેર અને તાલુકામાં રવિવારે સાંજથી ધોધમાર વરસાદ શરૂ થયેલો છે અને આજે સોમવારે સાંજના
છ વાગ્યા સુધીમાં 247 મીમી વરસાદ એટલે કે 10 ઇંચ વરસાદ વરસી ગયો છે. ભારે અનરાધાર વરસાદ
પડતા શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
ભારે વરસાદના કારણે પેલેસ રોડ ઉપર આવેલા સરકારી અનાજ ગોડાઉનની એક તરફ દિવાલ
પડી ગઇ હતી. જ્યારે સ્ટેશન રોડ ઉપર વોરા સોસાયટીમાં આવેલા મકાનની આગળની કમ્પાઉન્ડ વોલ
પણ પડી ગઇ હતી તેમજ મામાની છીપર પાસે આવેલી એક દુકાનનો ઉપર અને નીચેનો ભાગ બેસી ગયો
હતો. મામલતદાર દશરથાસિંહ લીંબડએ જણાવ્યું કે જાળીયાથી ઘેટી રોડ ઉપર એક બાઇક ચાલકે તણાતા
તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તેમજ પાંચ પીપળાથી લીલીવાવ રોડ ઉપર વ્યક્તિ
ફસાયાની માહિતી મળતા રૂરલ પીઆઈ રબારી સહિતનાએ પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ કર્યું હતું.
ભારે વરસાદના પગલે આખા શહેરમાં આઠ કલાક સુધી વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો. વિજ તંત્રની
પ્રિ-મોન્સુન કામગીરીની પોલ વરસાદમાં ખુલી ગઇ છે.
નગરપાલિકાના ચીફ ઓફિસર આર.પી. સોલંકીએ જણાવેલ કે ગારીયાધાર રોડ ઉપર આવેલ ઝુંપડપટ્ટીમાં
રહેતા તમામ લોકોને ભારે વરસાદના પગલે કન્યા વિદ્યાલયમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને
ત્યાં તેમની ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી. પાલીતાણાથી ટાણા થઈ બુઢણા તરફ જતો નવો
જ બનાવેલો કોઝવે આજે ભારે વરસાદમાં ધોવાઈ ગયા હતો. તાલુકાના સોનપરી ગામે આવેલ ખારા
ડેમમાં પુષ્કળ પાણીની આવક થઇ હતી. ડેમ 80% ભરાઈ ગયેલ હતો આથી સિંચાઈ તંત્ર દ્વારા ડેમનું
રૂલ લેવલ જાળવી રાખવા માટે ખારા ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે તેમજ શેત્રુંજી
ડેમની સપાટી 23.7 ફૂટે પહોચી છે.
તળાજામા
ભારે ઉકળાટ,અસહ્ય બફારા બાદ ગઈકાલ રાત્રીથી વાતાવરણ બદલાયું હતું. રાત્રે ઝરમર વહેતો
મેહુલિયો વહેલી સવારના 6 વાગ્યે સાંબેલાધારે વરસવા લાગ્યો હતો. તંત્ર તરફથી મળતા સવારના
6 થી બપોરના 4 વાગ્યા સુધીમાં 90 મીમી વરસાદ વરસી ગયો હતો. સવારના 6 થી બપોરના 4 વાગ્યા
સુધીમાં ક્રમશ: 26,19,32,7,6 મીમી વરસી ગયા
બાદ પણ મધ્યમ ભારે વરસાદ વરસવાનો શરૂ જ હતો. છેલ્લા ત્રીસેક વર્ષનો રેકોર્ડ તૂટ્યો
હતો કે પ્રથમ વરસાદે જ તળાજી નદીમાં ઘોડાપુર આવતા ભીડભંજન મહાદેવ મંદિર અડધું ડૂબી
ગયું હતું. શેત્રુંજી નદીમાં પણ પૂર આવ્યું હોય તળાજી નદી ઓટ મારે તો સામાકાંઠે વિસ્તારના
રહીશોને ખાલી કરીને જવું પડે તેવી ભયજનક સ્થિતિ જોવા મળી હતી. વાલર ગામથી પસાર થતી
બગડ નદીમા ઓચિંતા જ પાણીનો પ્રવાહ વધી જતાં પાંચ લોકોમાંથી બે વ્યક્તિને ગ્રામજનોએ
અને બાકીના ત્રણને બચાવવા તળાજા ફાયરની ટીમ હોડી અને રેસ્ક્યુનો સામાન લઈને પહોંચી
હતી. ત્રણેય વ્યક્તિ ખતરાથી બહાર હોવાનું સ્થાનિક તલાટી પ્રયાગ પંડ્યાએ જણાવ્યું હતું.
સોસાયટી વિસ્તારમાં પાણી ભરાવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. નગરજનોની સુખાકારી માટે ચિફ
ઓફિસર નગરના મુખ્ય અધિકારી હોવા છતાંય આવ્યા ન હતા. આ વાત ડે.કલેક્ટર સુધી પહોંચતા
તેઓએ નોટીસ આપી હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે ડે.કલેક્ટરએ જણાવ્યું હતું કે
પહેલા મેં ફોન કર્યો ત્યારે રિસીવ કર્યો ન હતો. બેદરકારી દેખાતા નોટીસ આપવાની તૈયારી
કરી હતી. બપોર બાદ તેઓનો સંપર્ક થઈ શક્યો હતો.