ભારે વરસાદના પગલે મુખ્યમંત્રીએ
સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના જિલ્લા કલેકટરને આપી જરૂરી સૂચના : 22 જૂન સુધી સાર્વત્રિક
ભારે વરસાદની આગાહી
(ફૂલછાબ ન્યૂઝ)
અમદાવાદ, તા.16 : ગુજરાતમાં અત્યારે
એક તરફ ભારે ગરમીના કારણે લોકો શેકાઇ રહ્યા છે અને બીજી તરફ કેટલાક જિલ્લાઓમાં મેઘમહેર
શરૂ થઇ ગઈ છે. રાજ્યમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. ગુજરાતના ખેડૂતોને આજે હાશકારો થયો
છે. રાજ્યમાં 17 જૂનથી 22 જૂન સુધી સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આવતીકાલે 17 જૂને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં
મેઘગર્જના સાથે અત્યંત ભારે વરસાદને પગલે હવામાન વિભાગે રૅડ ઍલર્ટ જાહેર કર્યું છે.
જ્યારે પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે
વરસાદને લઈને અૉરેન્જ ઍલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર,
નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું
છે.
આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો
ન ખેડવા સૂચના અપાઈ છે. પવનની ગતિ 25-35 કિમી પ્રતિ કલાકની રહેશે અને અમદાવાદમાં હળવાથી
મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના
વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અરબ સાગરમા
વરસાદી સિસ્ટમ સક્રિય થતા આ આગાહી કરવામાં આવી છે. 18-19 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના
12થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને લઈને અૉરેન્જ અને યલો ઍલર્ટ
હવામાન વિભાગે જાહેર કર્યું છે. જેમાં જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ,
ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દાહોદ, છોટા ઉદેપુર
સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે.
મુખ્યમંત્રી
ભુપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને ધ્યાને
લેતા નાગરિકોના જાનમાલની રક્ષા અંગે પગલાં લેવા અંગે જરૂરી સૂચનાઓ આ વિસ્તારોના જિલ્લા કલેક્ટર્સને આપી છે. હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને જરૂર જણાય ત્યાં
તાત્કાલિક અસરથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવા અને વરસાદને કારણે ભરાયેલા પાણીના
ઝડપી નિકાલ તેમજ વીજ અને ખાદ્ય પુરવઠો, આરોગ્ય અને જીવનરક્ષક દવાઓ સહિતની બાબતોમાં
પૂરી સતર્કતા અને અગમચેતી સાથે સજ્જ રહેવાના જરૂરી દિશાનિર્દેશ પણ આપ્યા છે.