નવી દિલ્હી, તા. 15 : મીડલ ઓર્ડર બેટ્સમેન સરફરાઝ ખાનને ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની આગામી ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમમાં જગ્યા મળી નથી. અનુભવી બેટ્સમેન કરુણ નાયરને સરફરાઝ ઉપર પ્રાથમિકતા અપાઈ છે. જેણે આઠ વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં વાપસી કરી છે. જો કે ટીમથી બહાર થયા બાદ સરફરાજ ખાન ઈંગ્લેન્ડમાં જોરદાર રન કરી રહ્યો છે.
સરફરાઝ
ખાને અમુક સમય પહેલા જ ઈન્ડિયા-એ તરફથી ઈંગ્લેન્ડ લાયન્સ સામે પહેલા બિનસત્તાવાર ટેસ્ટ
મેચમાં 92 રનની શાનદાર ઈનિંગ રમી હતી. બાદમાં તેણે બીજા મેચમાં બહાર કરવામાં આવ્યો
હતો. હવે સરફરાઝ ખાને ઈન્ટ્રા સ્ક્વાડ મુકાબલામાં સદીની ઈનિંગ રમી હતી. આ મુકાબલો બેકેનહેમના
કાઉન્ટ્રી ગ્રાઉન્ડ ઉપર ઈન્ડિયા અને ઈન્ડિયા-એ વચ્ચે રમાઈ રહ્યો છે.
મેચના
બીજા દિવસે 14મી જૂને સરફરાઝ ખાને ઈન્ડિયા-એ માટે 76 બોલમાં 101 રન કર્યા હતા. જેમાં
15 ચોગ્ગા અને બે છગ્ગા સામેલ છે. સદી પૂરી કર્યા બાદ સરફરાઝ રિટાયર્ડ આઉટ થયો હતો.
આ મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયાનો ચીફ સિલેક્ટર અજીત અગરકર અને એનસીએ પ્રમુખ વીવીએસ
લક્ષ્મણ સ્ટેડિયમમાં હાજર હતા.
મુકાબલામાં
સાઈ સુદર્શને ત્રીજા નંબરે બેટિંગ કરીને 38 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે ઋતુરાજ
ગાયકવાડ ખાતુ ખોલી શક્યો નહોતો. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે બે વિકેટ લીધી હતી. જો કે
તે મોંઘો સાબિત થયો હતો અને ઈકોનોમિક રેટ 7થી વધારે રહ્યો હતો. જસપ્રીત બુમરાહને કોઈ
વિકેટ મળી નહોતી.