પૂર્વ
મુખ્યમંત્રીને રાજકોટવાસીઓની અશ્રુભરી અંતિમવિદાય : ગ્રીનલેન્ડ ચોકડીથી પ્રકાશ સોસાયટી
સુધી જંગી માનવમેદની, ઠેર ઠેર પુષ્પાંજલિ
આખા
રુટ ઉપર લાંબી કતાર, વરસતા વરસાદે પણ માણસો વરસતી આંખે ઊભા રહ્યા
નમ્રમુનિ
મહારાજે અંતિમ આશીષ આપ્યા: અમિત શાહ, ભુપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, રાજ્યપાલ આચાર્ય
સહિતના અગ્રણીની ઉપસ્થિતિ
(ફૂલછાબ
ન્યૂઝ)
રાજકોટ
તા. 16: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, સૌરાષ્ટ્રના અગ્રીમ નેતા, ગુજરાત ભાજપના સિનીયર
અગ્રણી વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રા રાજકોટમાં નીકળી ત્યારે વાતાવરણ બોઝિલ અને શોકમય
બની ગયું હતું. રાજકોટે વિજયભાઈને જે ઉમળકાથી વિધાનસભામાં મોકલ્યા હતા એના કરતાં અનેકગણા
દુ:ખ અને શોક સાથે આજે તેમને અંતિમ વિદાય આપી હતી. દરેક નાગરિકે જાણે સ્વજન ગુમાવ્યા
હોય તેવો અનુભવ કર્યો હતો. પ્રકાશ સોસાયટી સ્થિત નિવાસસ્થાને તેમના પાર્થિવ શરીરને
જૈનસંત નમ્રમુનિએ અંતિમ આશીષ આપ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં વિજયભાઈના
પાર્થિવ દેહને ધર્મપત્ની અને પુત્ર સહિતના પરિવારજનોને સંપૂર્ણ સન્માન સાથે સોંપવામાં
આવ્યો હતો.
કેન્દ્રીય
ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય
સહિતના અગ્રણીઓએ તેમને પુષ્પાંજલિ અર્પીને અંતિમ વિદાય આપી હતી. સૌરાષ્ટ્રભરમાંથી ભાજપ,
કોંગ્રેસના અગ્રણીઓ, જાહેરજીવનના મોભીઓ આજે રાજકોટમાં હતા. હીરાસર એરપોર્ટથી ગ્રીનલેન્ડ
ચોકડી પાર્થિવ શરીર લવાયા બાદ તે શહેરના મુખ્યમાર્ગો ઉપરથી પસાર થયો હતો.ચૌધરી હાઈસ્કૂલ
સામે આવેલા મણિયાર જિનાલયે મોક્ષરથ ઉભો રહ્યો હતો અને ત્યાંથી પ્રકાશ સોસાયટી સ્થિત
નિવાસસ્થાને પહોચ્યો હતો. સમગ્ર રૂટ ઉપર હજારો
લોકોએ પોતાના નેતાને છેલ્લી વિદાય આપી હતી. આબાલવૃદ્ધ તેમના અંતિમ દર્શને એકઠા થઈ ગયા
હતા.
હજારો
લોકોની મેદની વચ્ચેથી શબવાહિની વિજયભાઈના નિવાસસ્થાન પુજિત ખાતે પહોંચી ત્યારે સોસાયટીના
રહેવાસીઓ, ઉપસ્થિત સૌ કોઈએ જબ તક સૂરજ ચાંદ રહેગા, વિજયભાઈ કા નામ અમર રહેગા...ના નારાય
લગાવ્યાં હતાં. આસપાસની અગાસીઓ, પાળી બધું જ ભરાઈ ગયેલું હતું. વિજયભાઈના ધર્મપત્ની
અંજલીબહેન ઘરમાં પ્રવેશતાંની સાથે જ ભાંગી પડયાં હતાં. સાથે જ આસપાસના ઘરોમાં રહેતા
લોકોની આંખમાંથી પણ અશ્રુધારા વહી હતી.
બપોરે
સાડા બાર વાગ્યાથી શહેરના રસ્તાઓ ઉપર માણસોએ કતાર લગાવી હતી. પ્રકાશ સોસાયટી પાસે પણ
હજારો લોકો એકઠા થયા હતા. રાજકોટે વર્ષો પછી કોઈ નેતાને આટલું સન્માન આપ્યું હતું.
ગ્રીનલેન્ડ ચોકડીથી લઈને છેક પ્રકાશ સોસાયટી સુધી પહોંચતા મોક્ષરથને સમય લાગ્યો હતો
જે પાછળનું કારણ પોતાના લાડકવાયા નેતાના અંતિમ દર્શન માટેની લોકોની આતુરતા હતી. મુખ્યમાર્ગો
ઉપર જાણે માનવ કિડીયારુ ઉમટી પડયું હતું. સાંજે પોણા છ વાગ્યે મોક્ષરથ વિજયભાઈના નિવાસસ્થાને
પહોંચ્યો હતો. બાદમાં નજીકમાં જ આવેલા પ્રગટેશ્વર મહાદેવ મંદિરે તેમના પાર્થિવ દેહને
લઈ જવામાં આવ્યો હતો.
અહીં
કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહ, સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ
આચાર્ય દેવવ્રત તેમજ અન્ય તમામ રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે
દિવંગત વિજયભાઈને અંતિમ વિદાયમાન આપવામાં આવ્યું હતું. વરસતા વરસાદમાં પણ લોકોની અશ્રુધારાઓ
સ્પષ્ટ નજરે ચડતી હતી. સાંજે 7.30 વાગ્યા આસપાસ વિજયભાઈની અંતિમ યાત્રા નીકળી હતી.
યાત્રા પ્રકાશ સોસાયટીથી નિર્મલા રોડ થઈને કોટેચા ચોક પહોંચી ત્યારે લોકોએ ગુલાબના
ફૂલ વરસાવ્યાં હતાં. મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, યાજ્ઞિક રોડ, રામકૃષ્ણ આશ્રમ,
ત્રિકોણ બાગ, રાજશ્રી સિનેમા થઈને અંતિમ યાત્રા રામનાથપરા સ્મશાન ગૃહ ખાતે પહોંચી હતી.
સ્વ.વિજયભાઈ
રૂપાણીના પુત્ર ઋષમ રૂપાણી લોકોની સાથે ચાલતા ચાલતા છેક રામનાથપરા સ્મશાન સુધી પહોચ્યાં
હતાં. ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના રાજકીય મહાનુભાવો પણ
સ્મશાને પહોચ્યાં હતાં. સ્મશાન ગૃહમાં શાત્રોક્ત વિધિવિધાન સાથે રાત્રે 10.15 આસપાસ
વિજયભાઈના અંતિમ સંસ્કાર કરાયાં ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયાં હતાં.