• મંગળવાર, 17 જૂન, 2025

પીએમ મોદી મણિપુર જવા માટે કરુણા ક્યારે લાવશે : કોંગ્રેસ પીએમના વિદેશ પ્રવાસ અંગે વિપક્ષી દળના પ્રહાર

નવી દિલ્હી, તા.15 (પીટીઆઈ) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ દેશોની મુલાકાત અંગે કટાક્ષ કરતાં કોંગ્રેસે રવિવારે કહ્યું કે આવી મુલાકાતો માટે તેમની પાસે ત્રણ ‘ઈ’ એટલે કે ‘એનર્જી’ (ઊર્જા), ‘એક્સાઈટમેન્ટ’ (ઉત્સાહ) અને ‘એન્થુસીઆઝમ’ (જોશ) છે પરંતુ  મણિપુરના લોકોની પીડા સમજવના હેતુથી  ત્યાં જવા માટે ચોથો ‘ઈ’ ‘એમ્પથી’ (કરુણા) પેદા કરી શકતા નથી.

વિપક્ષી પાર્ટીએ એમ પણ કહ્યું કે મે 2023 પછી આ મોદીની 35મી વિદેશ યાત્રા છે, જ્યારે ‘મણિપુર પ્રત્યે વડાપ્રધાનનું આવું વલણ ખૂબ જ દુ:ખદ છે.

 કોંગ્રેસના મહાસચિવ અને પ્રચાર પ્રભારી જયરામ રમેશે ‘એક્સ’ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે , ‘એક સમય હતો જ્યારે તેઓ બીજગણિતના એક સૂત્રને ટાંકીને ભારત-કેનેડા સંબંધોનું ઉદાહરણ આપતા હતા પરંતુ તે પછી પરિસ્થિતિ ભયજનક રીતે ખરાબ થઈ ગઈ હતી.

તેમણે વધુ પ્રહાર કરતાં કહ્યું કે, જ્યારે એવું લાગતું હતું કે કેનેડા ભારતને જી-7 સમિટમાં આમંત્રણ આપવામાં વિલંબ કરી રહ્યું છે, ત્યારે તેમના માટે ઢોલ વગાડનારાઓએ પ્રચાર કર્યો કે વડાપ્રધાન મોદી આમંત્રણ મળે કે ન મળે, તેઓ જશે નહીં. પરંતુ હંમેશની જેમ, આ વખતે પણ તેમનું વલણ ઉઘાડું પડી ગયું છે.

તેમણે એ બાબતે ધ્યાન દોર્યું કે કેનેડાના વડાપ્રધાને કહ્યું કે ભારતને જી-7 સમિટમાં આમંત્રણ આપવામાં આવ્યું છે કારણ કે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.  કોંગ્રેસ નેતાએ કહ્યું, કદાચ મોદીજી તેમને યાદ અપાવી શકે કે નીતિ આયોગના સીઈઓ અનુસાર, ભારત 24 મે 2025ના વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક