• મંગળવાર, 17 જૂન, 2025

સિંધુ જળ સંધિ : પાક.નો રઘવાટ વધ્યો

બિલાવલ ભુટ્ટોએ વાતચીતનો આગ્રહ કરવા સાથે આપી યુદ્ધની પોકળ ધમકી

ઈસ્લામાબાદ, તા.16 : પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ રદ કર્યા બાદ હવે પાડોશી દેશ રઘવાયો બન્યો છે. પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના પ્રમુખ બિલાવલ ભુટ્ટોએ ભારતથી વાત કરવાનો આગ્રહ કરવા સાથે જો સિંધુ જળ સંધિ પૂર્વવત ન કરાય તો પાકિસ્તાન પાસે યુદ્ધ સિવાય વિકલ્પ બચશે નહીં એમ ધમકી પણ આપી હતી.

બિલાવલે કહ્યું કે કાશ્મીર, સિંધુ જળ સંધિ અને આતંકવાદના મામલે વાતચીત થવી જોઈએ. આ મુદ્દાને બંને દેશ વાતચીત દ્વારા જ ઉકેલી શકે છે.

એક અખબારી અહેવાલ અનુસાર પશ્ચિમી દેશોની યાત્રા પર સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા બિલાવલે બ્રસેલ્સમાં જર્મન પ્રસારક  ‘દાયચે વેલે ઉર્દૂ’ને આપેલી મુલાકાતમાં આ ટિપ્પણી કરી હતી.

તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન અને ભારત વચ્ચે પડતર તમામ મુદ્દાને માત્ર વ્યાપક વાતચીતના માધ્યમથી જ ઉકેલી શકાય છે. જો ભારત વાતચીત માટે ટેબલ પર નહીં આવે તો તે તેના હિતમાં રહેશે નહીં.

પૂર્વ વિદેશ મંત્રીએ પોકળ ધમકી આપતાં કહ્યું કે ભારત તરફથી પાકિસ્તાનને જળનો જથ્થો રોકવાના કોઈ પણ પ્રયાસને અસ્તિત્વ માટે ખતરો માનવામાં આવશે જેનાથી પાકિસ્તાન પાસે યુદ્ધ સિવાય કોઈ વિકલ્પ બચશે નહીં.

ઇ-પેપરના નવા શુલ્ક