પહલગામ
આતંકી હુમલા અંગે FATF કહ્યું, આર્થિક મદદ અને નેટવર્ક
વિના આવા હુમલા સંભવ નથી
નવી
દિલ્હી, તા. 16 : પહલગામ આતંકવાદી હુમલા બાદથી દુનિયાભરમાં પાકિસ્તાનનો આતંકી ચહેરો
ફરી એક વખત બેનકાબ થયો છે. પાકિસ્તાનને ફરી એફએટીએફના ગ્રે લિસ્ટમાં સામેલ કરવાની માગણી
થઈ રહી છે. આ દરમિયાન વૈશ્વિક આતંકી ભંડોળનું મોનિટરિંગ કરતી સંસ્થા એફએટીએફ (ફાયનાન્સિયલ
એક્શન ટાસ્ક ફોર્સ)એ 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની
નિંદા કરી છે. સોમવારે જારી કરેલા નિવેદનમાં એફએટીએફએ કહ્યું હતું કે આવા હુમલા નાણા
અને નેટવર્ક વિના સંભવ થઈ શકે નહી. એફએટીએફનું આ નિવેદન સીધું પાકિસ્તાન ઉપર નિશાન
છે.
એફએટીએફએ
સ્પષ્ટ કર્યું છે કે હવે સભ્ય દેશો દ્વારા આતંકવાદને મળતી આર્થિક સહાયને રોકવા માટે
લેવાયેલા આકરા પગલા અને પ્રભાવી કાર્યવાહી ઉપર વધારે ધ્યાન આપી રહ્યું છે. આ નિવેદન
એવા સમયે આવ્યું છે જ્યારે ભારતે પાકિસ્તાન તરફથી સતત થઈ રહેલા આતંકવાદને સમર્થન અને
આર્થિક મદદ કરવાના પુરાવા ઉજાગર કર્યા છે. સૂત્રો અનુસાર ભારત હવે પાકિસ્તાનને ફરીથી
એફએટીએફની ગ્રે લિસ્ટમાં સામેલ કરાવવાનની પ્રક્રિયા શરૂ કરશે. ભારત ઓગસ્ટ-2025ના થનારી
એશિયા પેસિફિક ગ્રુપની બેઠક અને 20મી ઓક્ટોબરના રોજ થનારી એફએટીએફની પૂર્ણ બેઠક પહેલા
પાકિસ્તાન સામે એક વિસ્તૃત ડોઝિયર તૈયાર કરી રહ્યું છે.
પાકિસ્તાનને
પહેલી વખત 2008મા એફએટીએફની ગ્રે લિસ્ટમાં નાખવામાં આવ્યું હતું. 2010મા પાકિસ્તાન
યાદીમાંથી બહાર થયું હતું, જો કે 2012મા ફરી સામેલ થયું હતું. 2015મા બહાર થયા બાદ
2018મા પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં વધુ એક વખત સામેલ થયું હતું. આવી જ રીતે 2022મા એફએટીએફએ
પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર કરીને રાહત આપી હતી પણ સુધારા જારી રાખવાના નિર્દેશો
આપ્યા હતા.