• મંગળવાર, 17 જૂન, 2025

ઈરાનનાં પરમાણુ કેન્દ્ર ઉપર ઈઝરાયલનાં હુમલાથી ભૂકંપ

ઈરાને ઈઝરાયલ ઉપર તાબડતોબ દાગી 100 મિસાઈલ : ચોથા દિવસે યુદ્ધ વધુ તીવ્ર : તેહરાનમાંથી હજારોનું પલાયન

નવીદિલ્હી, તા.16: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલી ભીષણ જંગ સતત ચાર દિવસથી ચાલી રહી છે અને વધુને વધુ વિનાશક રૂપ ધારણ કરી રહી છે. જેમાં રવિવારની રાતે એક ઈરાની મિસાઈલે ઈઝરાયલની રાજધાની તેલઅવીવમાં અમેરિકાનાં દૂતાવાસની ઈમારતને જોરદાર હાનિ પહોંચાડી હતી. જેને પગલે તેને હંગામી ધોરણે બંધ કરી નાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઈઝરાયલમાં હાઈફામાં એક રિફાઈનરીને પણ ઈરાને બેલિસ્ટિક મિસાઈલથી નિશાન બનાવી હતી. સામે છેડે ઈઝરાયલે ઈરાનનાં ફોર્ડો પરમાણુ કેન્દ્રને ટાર્ગેટ કર્યુ હતું. જેમાં આજે સવારે ભયાનક વિસ્ફોટો થયા હતાં અને આ ધડાકા એટલા તીવ્ર હતાં કે આસપાસ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતાં. પરમાણુ કેન્દ્ર પાસે આવેલા આ ભૂકંપની તીવ્રતા 2.પ રિક્ટર સ્કેલ હતી. જેની સામે પલટવાર કરતાં ઈરાને પણ ઈઝરાયલ ઉપર 100 મિસાઈલ દાગી દીધી હતી. જો કે આનાથી ઈઝરાયલમાં કેટલું નુકસાન થયું તેનો કોઈ ચિતાર હજી સુધી મળ્યો નથી.

ઇરાને વકરતી સ્થિતિ વચ્ચે મધ્યસ્થીના માધ્યમથી અમેરિકા અને ઇઝરાયલને કહેણ મોકલ્યું હતું કે, જો ઇઝરાયલ હુમલા રોકે તો તે પણ લડાઇ રોકવા તૈયાર છે. જોકે, ઇઝરાયલે જવાબમાં ઇરાનને તેહરાન ખાલી કરવા ધમકી આપી દીધી હતી.

ઈરાનનાં સ્વાસ્થ્ય મંત્રાલયે સત્તાવાર આપેલી જાણકારી અનુસાર 13 જૂથે ઘર્ષણ શરૂ થયા બાદ ઈઝરાયલનાં હુમલામાં 224 લોકોનાં મૃત્યુ થયા છે અને 1277થી વધુ ઘવાયા છે. તો અમેરિકા સ્થિત માનવ અધિકાર સમૂહ દ્વારા ઈરાનમાં 400થી વધુ લોકો મરાયા હોવાનો દાવો કરવામાં આવે છે. આ પહેલા ઈરાનનાં રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયને કહ્યું હતું કે, ઈઝરાયલ જો પોતાનું અભિયાન અટકાવશે નહીં તો તેહરાન તરફથી ઈઝરાયલ સામે અભૂતપૂર્વ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, ઈરાન પરમાણુ વાટાઘાટોમાં પણ સામેલ નહીં થાય. તેમણે ફ્રાન્સમાં પોતાનાં સમકક્ષ ઈમેન્યુઅલ મેક્રોંને કહ્યું હતું કે, ઈરાન કૂટનીતિથી મામલો ઉકેલવાનાં પક્ષે છે પણ કોઈ દબાણ કે તર્કહીન માગણીઓનો કોઈપણ ભોગે સ્વીકાર નહીં થાય.

ઈઝરાયલની વાત કરવામાં આવે તો રવિવારની રાતે ઈરાને બોલાવેલા હુમલામાં ત્યાં 10 જેટલા લોકો મરાયા હતાં. અત્યાર સુધીમાં ઈઝરાયલમાં 13નાં મોત થયા હોવાનું જાણવા મળે છે. ઈઝરાયલનાં અધિકારીઓનાં કહેવા અનુસાર હાઈફાનાં પૂર્વમાં અરબ શહર તમરામાં એક ઈમારતમાં ચાર લોકો મૃત્યુ પામ્યા હતાં. ઈરાનનાં હુમલામાં દેશમાં કુલ 200 ઘાયલ થયા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક