• મંગળવાર, 17 જૂન, 2025

ભારતમાં બે તબક્કામાં વસ્તી ગણતરી : જાહેરનામું પ્રસિદ્ધ

જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, લદ્દાખ અને હિમાચલમાં 1 ઓક્ટોબર 2026થી પ્રક્રિયા શરૂ : બાકી હિસ્સામાં 2027ની પહેલી માર્ચથી થશે જનગણના

નવી દિલ્હી, તા. 16 : ભારત સરકારે દેશમાં આગામી જનગણતરી કરવા માટે સોમવારે જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામા અનુસાર જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં જનગણતરી છ મહિના પહેલાથી શરૂ કરવામાં આવશે. બરફવર્ષાથી પ્રભાવિત આ રાજ્યોમાં જનગણના પહેલી ઓક્ટોબર 2026થી શરૂ થશે. આ રાજ્યોને છોડીને દેશભરમાં જનગણતરીની પ્રક્રિયા પહેલી માર્ચ 2027થી શરૂ થશે. આ વખતે જનગણતરીમાં જાતિની ગણના સામેલ કરવામાં આવશે. જાહેરનામું પ્રસિદ્ધ થયાના એક  દિવસ પહેલા રવિવારે ગૃહ મંત્રી અમિત શાહે કેન્દ્રીય ગૃહ સચિવ, રજીસ્ટ્રાર જનરલ, જનગણના કમિશનર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે તૈયારીઓની સમીક્ષા કરી હતી.

ગૃહ મંત્રાલય અનુસાર જનગણના બે તબક્કામાં કરવામાં આવશે. પહેલા તબક્કામાં દરેક ઘરની આવાસીય સ્થિતિ, સંપત્તિ અને સુવિધાની જાણકારી એકત્રિત કરવામાં આવશે. ત્યારબાદ બીજા તબક્કામાં વસતી ગણતરી કરવામાં આવશે. આ દરમિયાન દરેક ઘરમાં લોકોની સંખ્યા, વય, રોજગાર અને અન્ય સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક જાણકારી એકત્રિત કરવામાં આવશે. જનગણના કરનારા અધિકારીઓ આ વખતે જાતિ પણ પૂછશે.

આ જનગણના ભારતની 16મી અને આઝાદી બાદની આઠમી વસ્તી ગણતરી છે. સરકાર અનુસાર જનગણનાની કામગીરીમાં  34 લાખ કર્મચારી અને પર્યવેક્ષક અને લગભગ 1.30 લાખ જનગણના કાર્યકર્તા તૈનાત કરવામાં આવશે. આ પાછળ લગભગ 12 હજાર કરોડથી વધારેનો ખર્ચ થવાનું અનુમાન છે.

આગામી વસ્તી ગણતરી ઘણી રીતે ખાસ બનશે. આ ભારતની પહેલી ડિજીટલ વસ્તી ગણતરી હશે. ભારત સરકાર નાગરીકોને સેલ્ફ એન્યુમરેશન એટલે કે આત્મ સુચના આપવાની તક આપશે. મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ડિજીટલ માધ્યમથી પણ પ્રક્રિયા પૂરી કરી શકાશે. આ ઉપરાંત ડેટા સુરક્ષા સુનિશ્ચિત કરવા આકરા ઉપાયો લાગુ થશે.

ઇ-પેપરના નવા શુલ્ક