• રવિવાર, 14 ડિસેમ્બર, 2025

વેરાવળમાં પત્નીની હત્યા કરનાર પતિએ આપઘાત કરી લેતાં ચકચાર

સાસરિયા એવા ડારી ગામના કબ્રસ્તાનની દરગાહમાંથી આરોપી પતિનો મૃતદેહ મળી આવ્યો

પત્નીની હત્યાના અફસોસ કે ક્યા કારણોસર આરોપીએ આપઘાત કર્યો તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી

વેરાવળ, તા.13: ગત શુક્રવારે વેરાવળના ડારી ગામે પત્નીની હત્યા કરી આરોપી પતિ નાસી ગયો હોવાથી પોલીસે શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન આજે સવારે આરોપી પતિનો મૃતદેહ ડારી ગામની કબ્રસ્તાનની દરગાહમાં મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી પતિ ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જો કે, મૃતદેહ સાથે એક ચિઠ્ઠી મળી આવી હોઈ તેની સત્યતા જાણવા અને ક્યા કારણોસર આરોપી પતિએ આપઘાત કર્યો તે જાણવા પાલીસે તપાસ હાથ ધરી છે.

ડારી ગામે પિયરમાં છેલ્લા પાંચ મહિનાથી રિસામણે બેઠેલા ચંપાબેન ધોળિયા (ઉ.વ.4ર)ની ગઈકાલે તેના પતિ વિનોદ સોમા ધોળિયાએ છરીના ઘા મારી નિર્મમ હત્યા કરી નાંખી હતી. આરોપી વિનોદ હત્યા કરી પોતાની મોટરસાઈકલ અને છરી ઘટના સ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો. જેને લઈ પોલીસવડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને સ્થાનિક પોલીસની સર્વેલન્સ ટીમોએ આરોપીને ઝડપવા તપાસ હાથ ધરી હતી. દરમિયાન આજે વહેલી સવારે એલસીબી પીએસઆઈ આકાશસિંહ સિંધવને ડારી ગામના કબ્રસ્તાનની દરગાહ ખાતે એક પુરુષનો મૃતદેહ પડયો હોવાની માહિતી મળી હતી. જેને લઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા આ મૃતદેહ પત્નીની હત્યા કરી ફરાર થયેલા વિનોદ ધોળિયાનો હોવાનું સામે આવ્યુ હતું.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વેરાવળ સિવિલ હોસ્પિટલ ખસેડયો છે. પ્રાથમિક તપાસમાં આરોપી પતિ વિનોદે ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યુ હતું. જો કે, ઘટનાસ્ળેથી સુસાઈડ નોટ જેવી એક ચિઠ્ઠી મળી હતી. જે ચિઠ્ઠીની સત્યતા અને તેમાં લખેલી વિગતો અંગે અને આરોપી પતિએ પત્નીની હત્યા કર્યાના અફસોસના કારણે આપઘાત કર્યો કે અન્ય કોઈ કારણોસર તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ તો આ કરુણ ઘટનામાં પતિ-પત્ની બન્નેના મૃત્યુ થયા હોવાની તેમના બે પુત્રોએ માતા-પિતા બન્નેની છત્રછાયા ગુમાવતા નાના એવા ગામમાં ગમગીની પ્રસરી ગઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક