નવી દિલ્હી, તા. 24 : ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે કહ્યું હતું કે, બે હજારની નોટો પાછી ખેંચવાનો ફેંસલો અનૌપચારિક સર્વે બાદ લેવાયો હતો.
સર્વેક્ષણ પરથી જાણવા મળ્યું છે કે, આ નોટોનો સામાન્ય રીતે ઉપયોગ કરાઈ રહ્યો નથી, તેવું ભારતીય ઉદ્યોગ મહાસંઘ (સીઆઈઆઈ)ના એક સમારોહ દરમ્યાન દાસે જણાવ્યું હતું.
અમે પૂરતો સમય આપ્યો છે. કાલે પણ બેન્કોમાં ભીડ નહોતી. લોકો 30મી સપ્ટેમ્બર સુધી બેન્કોમાં જઈને આરામથી નોટો બદલી શકે છે, તેવું તેમણે ઉમેર્યું હતું. શક્તિકાંત દાસે કહ્યું હતું કે, સરકારે 2023-24 માટે જીડીપીનું અનુમાન 6.5 ટકા આપ્યું છે, જ્યારે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (આઈએમએફ)નું અનુમાન 5.9 ટકા છે. તેમણે જણાવ્યું હતું કે, સેવા અને કૃષિ ક્ષેત્રનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે, આવનારા દિવસોમાં છૂટક મોંઘવારી 4.7 ટકાથી ઓછી રહેવાની આશા છે. પરંતુ મોંઘવારી સામે યુદ્ધ હજુ ખતમ થયું નથી.
વ્યાજદરોમાં વધારો રોકવા પર દાસે કહ્યું હતું કે, લોનના વ્યાજદરોમાં ઉછાળા પર અંકુશ મૂકવો અમારા હાથમાં નથી. આ અંગે ફેંસલો મોંઘવારીનાં સ્તર દ્વારા સંચાલિત થાય છે, તેવું રિઝર્વ બેન્કના ગર્વનરે જણાવ્યું હતું.