હાથ-પગ ધોવા ગયેલા યુવાનો પગ લપસતા સર્જાઈ દુર્ઘટના : અન્ય યુવાન પણ મિત્રને બચાવવા જતા તણાયો
સુરત,
તા.9: સુરતના બારડોલીમાં આવેલા સરભોણ નજીક નહેરમાં બે યુવકોના તળાઈ જવાથી મૃત્યુ થયા
હતા. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત
માહિતી મુજબ સુરતના ઉધના વિસ્તારમાં રહેતા પાંચ યુવક પટેલ મોહંમદ વજુઉદ્દીન વાજુદિન(ઉ.27),
આકાશ દેવેન્દ્ર પટેલ(ઉ.27), કુંજન જયંતીભાઈ પટેલ(ઉ.30), દિશાંત કિશોર સુરતી(ઉ.25) અને
લક્કી કૈલાસભાઈ પાટીલ(ઉ.18) સરભોણ ખાતે આવ્યા હતા. દરમિયાન પટેલ મોહંમદ વજુઉદ્દીન નહેરમાં
હાથ ધોવા જતાં તેનો પગ લપસી જતાં તે નહેરમાં ખાબક્યો હતો. આથી તેને બચાવવા માટે આકાશ
નહેરમાં કૂદતાં બંને જણા પાણીના તેજ પ્રવાહમાં તણાવા લાગ્યા હતા.
તેના
મિત્રોએ બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને બંનેને બચાવવાનો પ્રયાસ કર્યો
હતો. જોકે કોઈનો પત્તો ન લાગતાં બારડોલી ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડ
જવાનોની જહેમત બાદ મોહંમદ વજુઉદ્દીનનો મૃતદેહ મળ્યો હતો. જ્યારે ફાયર વિભાગની ટીમે
15 કલાક બાદ આકાશનો મૃતદેહ શોધી કાઢયો હતો. સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં
આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.