• મંગળવાર, 17 જૂન, 2025

તળાજાના પૂર્વ નગરસેવક ઉપર ખૂની હુમલો, મૃત્યુ

પુત્રએ બે શખસ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી, એક ગિરફતાર : પ્રેમ સંબંધ કારણભૂત

તળાજા, તા.8: તળાજા વોર્ડ-2ના કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા અને જિલ્લા દલિત સમાજના પ્રશ્નોને લઈ અવાજ ઉઠાવતા પૂર્વ નગર સેવક સુનીલ ખોડાભાઈ ચૌહાણની ગત તા.14ના રાત્રીના આશરે 11 વાગ્યાના સુમારે મહુવાના નૂતનનગર શાળા પાસે સરાજાહેર તીક્ષ્ણ હથિયારથી પેટમાં ઘા ઝીંકીને જીવલેણ હુમલા બાદ હનુમંત હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી એમ્બ્યુલન્સમાં સુનિલભાઈ ચૌહાણને ભાવનગર લઈ જવાતા હતા ત્યારે લોંગડી ટોલનાકા પાસે પહોંચતા હાલત વધુ ખરાબ થતા એમ્બ્યુલન્સના ચાલકે ઈજાગ્રસ્તના પુત્ર પ્રિન્સ સુનીલભાઈ ચૌહાણને મોબાઈલથી જાણ કરતા તળાજા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવતા અહીં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો.

પિતાની હત્યાના પગલે ચાર પુત્ર પૈકીના મોટા પુત્ર પ્રિન્સ ચૌહાણે મહુવા ગામના પોતાના જ સમાજના હરેશ ઉર્ફે ડામરીયો જીવણભાઈ ચૌહાણ તથા કુલદીપ ઉર્ફે જીગો ભુપતભાઈ ચૌહાણ વિરૂદ્ધ પિતા સુનીલભાઈ ચૌહાણની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા નીપજાવવાનો આરોપ લગાવ્યો છે.

ફરિયાદીની ફરિયાદ મુજબ મહુવા નૂતનનગરમાં રહેતા સુંદરબેન રૂપાભાઈ વાઘેલા જે ઈજાગ્રસ્ત સુનીલ ચૌહાણને એમ્બ્યુલન્સમાં લઈને તળાજા આવ્યા હતા. તેઓએ ફરિયાદીને જણાવ્યું કે દીકરી કાજલને સુનીલભાઈ બાઈક લઈને મળવા આવતા હતા. રાત્રે બાઈક પરથી આગળ પસાર થતા હતા ત્યારે આ ખૂની ખેલ ખેલાયો. જેને લઈ દેકારો થતા કાજલબેન, તેનો દીકરો કૃણાલ અને સુંદરબેન વચ્ચે પડયા હતના. જેમાં કાજલબેનને છરી વાગી ગઈ છે. (જુઓ પાનું 10)

વૃદ્ધા સુંદરેબેનને પણ હત્યારાઓએ ઢીકાપાટુનો માર માર્યો હતો. બનાવના કારણમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, પોતાના પિતાને મહુવા રહેતી કાજલ નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. કાજલને અગાઉ આરોપી હરેશ ઉર્ફે ડામરીયા સાથે પ્રેમ સંબંધ હતો તે બાબતે આ હત્યા કરવામાં આવી છે. જેને લઈ એક હત્યારો હરેશ ગિરફ્તાર થઈ ગયો છે જ્યારે બીજાને શોધવા માટે અલગ અલગ ટીમો કામે લાગી છે.

ફરિયાદ મુજબ તળાજાના પુર્વ નગર સેવકની હત્યાને લઈ ત્રણ વ્યક્તિએ ખુની ખેલ નજરે જોયો છે. પોલીસે સ્થળ પરના સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે એ ઉપરાંત માસીના દીકરાની બાઈક જે તળાજાથી લઈ મૃતક ગયેલ એ બાઈક સ્થળ પરથી પોલીસે કબજે લીધું છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક