• શુક્રવાર, 12 ડિસેમ્બર, 2025

રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલનો ગાંધીનગર FSLમાં નાર્કો ટેસ્ટ પૂર્ણ

અમદાવાદ, તા. 11: ગોંડલના રાજકુમાર જાટ કેસમાં આરોપી ગણેશ ગોંડલનો ગાંધીનગર એફએસલમાં નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો જે પૂર્ણ થઈ ગયો છે. ટેસ્ટ પહેલાં ગણેશ ગોંડલની જરૂરી મેડિકલ તપાસ કરવામાં આવી હતી. નાર્કો ટેસ્ટ બાદ કેસમાં નવા ખુલાસા થઈ શકે છે જે બાદ રાજકુમાર જાટ કેસમાં નવો વળાંક આવવાની શક્યતા છે. એસઆઇટી 15 ડિસેમ્બરે ગુજરાત હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે. મૃતક રાજકુમાર જાટના પરિવારજનોએ આ બનાવને અકસ્માત નહીં પણ હત્યા ગણાવીને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજાસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. આ મામલે રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં નાર્કો ટેસ્ટ કરાવવા માટે અરજી કરવામાં આવી હતી. આ અરજીના જવાબમાં ગણેશ જાડેજાએ કોર્ટ સમક્ષ નાર્કો ટેસ્ટ કરાવવા માટે સહમતિ આપી હતી, જેના આધારે કોર્ટે નાર્કો ટેસ્ટ કરાવવા માટે હુકમ કર્યો હતો. જોકે, રાજકુમારનું જે બસ હડફેટે મૃત્યુ થયાનું પોલીસે જાહેર કર્યું હતું, તે બસના ચાલક રમેશ મેરની ઉંમરને ધ્યાનમાં રાખીને અદાલતે તેના નાર્કો ટેસ્ટ માટે મંજૂરી આપી નહોતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક