• ગુરુવાર, 05 ફેબ્રુઆરી, 2026

જામનગરમાં રિક્ષાચાલકને માથામાં મૂંઢમાર મારતાં હેમરેજ બાદ મૃત્યુ : એકની ધરપકડ

જામનગર, તા.4 : જામનગરમાં ગત તા.16મી ડિસેમ્બરે ઇબ્રાહિમભાઈ માકોડા ડીકેવી કોલેજ પાસે તેની રિક્ષામાંથી પેસેન્જર ઉતારતા હતા ત્યારે મોટર સાઇકલમાં આવેલા અજાણ્યા બે શખસે તેઓને ગાળો આપીને માથાના ભાગે ધુંબા માર્યા હતા. તેથી ઇબ્રાહિમભાઈને માથામાં દુ:ખાવો થતાં તેઓએ ઘરે આવીને પત્નીને વાત કરી હતી અને ઉલ્ટીઓ થવા લાગતાં તેઓને 108 મારફ્ત જી.જી. હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ ઉપરના ડોક્ટરે તેઓને હેમરેજ થયાનું જણાવ્યું હતું. બાદમાં તેઓને ત્યાંથી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, અને સારવારમાં તેઓનું મૃત્યુ

નીપજ્યું હતું.

આથી મૃતકના પત્ની નફીસાબેનની ફરિયાદ ઉપરથી સિટી બી ડિવિઝન પોલીસે બે શખસ સામે ગુનો નોંધ્યો હતો. જે કેસમાં પોલીસે જામનગરના બાઇક ચાલક જીજ્ઞેશ નવીનચંદ્ર સેલારકાની ધરપકડ કરી હતી અને અદાલત સમક્ષ રજૂ કરતા તેને જેલમાં મોકલી દેવાનો હુકમ થયો હતો, જેથી તે જેલ હવાલે થયો હતો. દરમિયાન જેલમાં રહેલા આરોપીએ પ્રથમ દૃષ્ટિએ કોઈ અપરાધ થતો નથી અને પોતાને ખોટી રીતે સંડોવી દેવાયાની રજૂઆત સાથે જામીન અરજી કરી હતી. આ અરજીના વિરોધમાં સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, ગંભીર પ્રકારનો ગુનો છે અને મૃતક માથામાં હેમરેજની ઈજાનાં કારણે મૃત્યુ પામ્યા છે.

આરોપીની સ્પષ્ટપણે ગુનામાં ભૂમિકા હોવાનું જણાઈ આવે છે. આવા ગંભીર ગુનામાં જામીન મુક્તિ આપી શકાય નહીં. અદાલતે બન્ને પક્ષને સાંભળીને

આરોપીની જામીન અરજી રદ કરતો આદેશ કર્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક