• ગુરુવાર, 05 ફેબ્રુઆરી, 2026

ટ્રેડ ડીલમાં કૃષિ, ડેરી ક્ષેત્રનાં હિતને હાનિ નહીઃ સરકાર

 

-           વિપક્ષના હુમલાઓ વચ્ચે સરકાર વતી ગોયલે સંસદમાં રજૂ કર્યો પક્ષ ઃ સમજૂતીની પ્રક્રિયા પૂરી થયા બાદ વેપાર સમજૂતી વિગતો થશે જાહેર

નવીદિલ્હી, તા.4 ઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર ટેરિફ ઘટાડવાની જાહેરાત કરવા સાથે ભારત રશિયાથી ઓઇલની આયાત બંધ કરશે અને અમેરિકાના કૃષિ ઉત્પાદનો માટે ભારતીય બજારનાં દરવાજા ખૂલી ગયાનો દાવો કર્યા પછી આ સંવેદનશીલ મુદ્દે ભારતમાં રાજકીય ઘમસાણ મચી ગયું છે. સરકાર તરફથી કોઈ અધિકૃત ઘોષણા કરવામાં આવે તે પહેલાં જ વિપક્ષીદળોએ સરકાર ઉપર કોઈ દબાણમાં આવી ગયાના આરોપોનો મારો ચલાવી દીધો હતો. જેનો જવાબ આજે સરકારે સંસદમાં આપ્યો હતો. ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે આજે સંસદનાં બન્ને ગૃહમાં ભારત-અમેરિકાની વેપાર સમજૂતી ઉપર સરકારનો પક્ષ રજૂ કરતાં કહ્યું હતું કે, આમાં ખાતર, કૃષિ અને ડેરી જેવા સંવેદનશીલ ક્ષેત્રમાં ભારતનાં હિતોની પૂરી રક્ષા કરવામાં આવી છે. આ ઐતિહાસિક ટ્રેડ ડીલથી નાના અને મધ્યમ કારોબારી, એમએસએમઇ, ઉદ્યોગો, કુશળ શ્રમિકો માટે નવા અવસર અને આધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ કરાવશે. આ સમજૂતીથી મેક ઇન ઇન્ડિયા, ડિઝાઇન ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ અને ઇનોવેટ ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ જેવા મહત્ત્વાકાંક્ષી લક્ષ્યોને પણ ગતિ મળશે. ગોયલનાં આ સત્તાવાર નિવેદન દરમિયાન પણ સંસદમાં વિપક્ષનો હંગામો યથાવત્ ચાલુ રહ્યો હતો અને ભારપૂર્વક કહ્યું હતું કે, સરકારે રાષ્ટ્રહિતોને સર્વોપરિ રાખીને જ વાટાઘાટ કરી છે.

તેમણે જણાવ્યું હતું કે, 2 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર ટેલિફોનિક વાતચીત થઈ હતી. ત્યારબાદ ટ્રમ્પે ટેરિફ ઘટાડીને 18 ટકા કરવાની ઘોષણા કરી હતી. ગોયલે ઉમેર્યું હતું કે, પ્રતિસ્પર્ધી દેશોની તુલનામાં ઓછા ટેરિફનાં કારણે ભારતીય નિકાસકારોને સ્પર્ધામાં વધુ બળ મળશે.

ગોયલે આગળ કહ્યું હતું કે, ગત વર્ષે બન્ને દેશનાં વાટાઘાટકારોએ વિભિન્ન સ્તરે વિસ્તૃત ચર્ચા કરી છે.

જેમાં મહત્ત્વપૂર્ણ હિતોને ધ્યાને રાખીને સંવેદનશીલ ક્ષેત્રોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે. ભારતીય પક્ષે વાટાઘાટમાં વિશેષરૂપે કૃષિ અને ડેરી જેવા સંવેદનશીલ ક્ષેત્રમાં પોતાનાં હિતોની સફળતાપૂર્વક રક્ષા કરી છે. એક વર્ષની લાંબી વાટાઘાટનાં અંતે આખરે બન્ને દેશે સમજૂતીને આખરી ઓપ આપવામાં સફળતા મેળવી છે.

ગોયલે કહ્યું હતું કે, ભારત અને અમેરિકાનાં અર્થતંત્ર બૃહદ રીતે એકબીજાનાં પૂરક છે અને આવનારા સમયમાં બન્ને દેશો વચ્ચે વેપાર માટે વ્યાપક અવસરો પણ મોજૂદ છે. વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધતાં ભારતને ઊર્જા, એવિએશન, ડેટા સેન્ટર, પરમાણુ ઊર્જા સહિતનાં મહત્ત્વનાં ક્ષેત્રોમાં પોતાની ક્ષમતા વધારવી પડશે અને આમાં અમેરિકા અગ્રણી દેશ છે. તેથી આ ક્ષેત્રો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તે સ્વાભાવિક છે. જેના હિસાબે આયાત ઉપરાંત નિકાસને પણ પ્રોત્સાહન મળવાનું છે. હવે આ ટ્રેડ ડીલ માટે આવશ્યક પ્રક્રિયા બન્ને દેશ મળીને પૂરી કરશે અને કાગદી કાર્યવાહીને હાથ ધરવામાં આવશે. આ સમજૂતીની વિગતો આ પ્રક્રિયા પૂરી થયા બાદ જાહેર કરવામાં આવશે.

ગોયલે આ સમજૂતીને ઐતિહાસિક ગણાવતાં કહ્યું હતું કે, આ ભારત અને અમેરિકાના સંબંધોને મજબૂત કરવા અને વિકસિત ભારત 2047ની યાત્રાને ગતિ પ્રદાન કરનારું મોટું પગલું છે. જે દુનિયાનાં બે સૌથી મોટા લોકતંત્ર વચ્ચે મજબૂત સંબંધોને પણ દર્શાવે છે.

ઇ-પેપરના નવા શુલ્ક