મુઝફફરપુરની જનસભામાં વડાપ્રધાનના રાહુલ ગાંધી-તેજસ્વી પર પ્રહાર
પટના,
તા.30: વિધાનસભા ચૂંટણીની ઘોષણા પછી બીજી વખત બિહાર પહોંચેલા પીએમ મોદીએ પહેલાની તુલનામાં
એકદમ અલગ અંદાજ બતાવ્યો. આ વખતે તેમણે વિપક્ષી દળો, ખાસ કરીને આરજેડી અને કોંગ્રેસના
નેતાઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપ્યો. આ સાથે જ તેમણે જંગલરાજ અને કુશાસનના
નામે વિપક્ષને ઘેર્યા પણ ખરા.  
પીએમ
મોદીએ બુધવારે મુઝફફરપુરની જનસભામાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ પર પ્રહાર કર્યા
હતા. તેમણે કહ્યું કે બિહારમાં બે યુવરાજોએ જૂઠા વાયદાની દુકાન ખોલી રાખી છે. એક યુવરાજ
ભારતના સૌથી ભ્રષ્ટ પરિવારના છે, તો બીજા બિહારના સૌથી ભ્રષ્ટ પરિવારના છે. આ બંને
હજારો કરોડોના કૌભાંડમાં જામીન પર છે. આ બંનેએ બુધવારે મોદીને ભરપૂર ગાળો આપી. હવે
જે લોકો નામદાર છે, તે આ કામદારને ગાળો તો આપશે જ. મને ગાળ આપ્યા વિના, તેમનું ભોજન
હજમ થતું નથી. દલિત અને પછાત વર્ગના લોકોને ગાળો આપવી આ નામદારો પોતાનો જન્મસિદ્ધ અધિકાર
સમજે છે. તેથી આ લોકો 24 કલાક મને ગાળો આપતા રહે છે કારણ કે તેમને એ સહન થતું નથી કે
એક પછાતનો દીકરો અને ચા વેચનારો આજે અહીં (આ પદ પર) પહોંચી ગયો છે. ગાળો આપનારાઓ કાન
ખોલીને સાંભળી લો, આ ગરીબનો દીકરો જનતાના આશીર્વાદથી અહીં સુધી પહોંચ્યો છે. 
 
                            
                         
			   
                 
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                     
                                     
                                    