• બુધવાર, 12 માર્ચ, 2025

10 વર્ષમાં 2.06 લાખ જગ્યા પર થશે નવી ભરતી

10 વર્ષનું ભરતી કેલેન્ડર તૈયાર : નાગરિકો અને સરકાર વચ્ચે સીધા સંવાદ માટે હેલ્પલાઈન શરૂ કરાશે

અમદાવાદ, તા.10 : રાજ્ય વિધાનસભા ગૃહમાં સામાન્ય વહીવટ વિભાગના બજેટ (માંગણીઓ) રજૂ કરાયું હતું. જેના પર ચર્ચા દરમ્યાન ઘણી ગરમાગરમ ચર્ચાઓ થઈ હતી. જેમાં સરકારની આકરી આલોચના પણ કરવામાં આવી હતી. અંતે, વર્ષ-2025-26ની સામાન્ય વહીવટ વિભાગની રૂ. 399.88ની માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી. આ ચર્ચાઓ બાદ વિભાનસભામાં મુખ્યમંત્રી વતી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેના જવાબો આપ્યા હતા અને કહ્યું હતું કે, રાજ્ય સરકારના વહીવટી વિભાગો હસ્તકના તમામ સંવર્ગોની ભરતીના આયેજનના ભાગરૂપે સરકાર દ્વારા વર્ષ-2024થી 2033 સુધીના 10 વર્ષ માટે આ 10 વર્ષિય ભરતી કેલેન્ડર નિયત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જે અનુસાર આગામી 10 વર્ષમાં અંદાજે કુલ-2,06,991 જગ્યાઓ ભરવાનું આયોજન હાથ ધરાયું છે. 

મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના વહીવટમાં પારદર્શિતા અને સુચારૂ સંચાલન માટે રાજ્ય સરકાર હંમેશાથી કટિબધ્ધ છે અને એટલે જ રાજ્યના લોકાભિમુખ વહીવટ માટે સરકાર દ્વારા સમયાંતરે વહીવટમાં સુધારાઓ કરવામાં આવ્યાં છે. હાલના સમયમાં વિકસિત ભારત।઼ 2047ના લક્ષ્યને સિધ્ધ કરવા માટે ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે. જેના ભાગરૂપે રાજ્યના વહીવટી માળખામાં તેમજ કાર્યપદ્ધતિમાં જરૂરી સુધારા કરવા, માનવશક્તિનું તર્કસંગીકરણ કરવા, જાહેર સેવાઓને સુદ્રઢ બનાવવા અને નવીનતમ ટેકનોલોજીના ઉપયોગથી સરકારી તંત્રની કાર્ય ક્ષમતામાં વધારો કરવાના હેતુથી ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષ સ્થાને ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવામાં આવી છે. 

એવી જ રીતે હવે, ગુજરાતમાં વહીવટી સંચાલનમાં રહેલી પારદર્શિતા, જવાબદારી અને સુલભતાને વધુ પ્રોત્સાહન આપવા માટે ગુજરાતનાં નાગરિકો અને રાજ્ય સરકાર વચ્ચે સીધો અને અસરકારક સંવાદ થઇ શકે તે માટે મુખ્યમંત્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, સેવા સેતુ કાર્યક્રમના દશમાં તબક્કામાં મળેલી કુલ 17,65,604 અરજીઓમાંથી 17,65,595 અર્થાત 99.99 ટકા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. રાજકોટ પ્રાદેશિક તાલીમ કેન્દ્રના વધુ કાર્યભારણને ધ્યાને લઈ ભાવનગર ખાતે નવું પ્રાદેશિક તાલીમ કેન્દ્રની સ્થાપના કરવા અંગે વર્ષ 2025-26નાના વર્ષે રૂ. 2.50 કરોડની નવી બાબતની જોગવાઈ કરવામાં આવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક