- કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લાના તપાસ આદેશ : ધાર્મિક લાગણી દુભાઈ
જમ્મુ,
તા.10: સોમવારે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ગુલમર્ગમાં તાજેતરમાં યોજાયેલા એક ફેશન શોના
કારણે હોબાળો થયો હતો. આ શો રમઝાન માસમાં આયોજિત કરવામાં આવ્યો હતો, જેના પર ઘણા રાજકીય
પક્ષો અને ધાર્મિક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ કાર્યક્રમને
અશ્લીલ ગણાવતા કહ્યું કે, તેનાથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. ગૃહની કાર્યવાહી
શરૂ થતાં જ નેશનલ કોન્ફરન્સ (NC), પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) અને બે સ્વતંત્ર ધારાસભ્યોએ
આ મુદ્દો ઉઠાવ્યો અને પૂછયું કે રમઝાન દરમિયાન આવો કાર્યક્રમ કેવી રીતે યોજાઈ શકે.
તેમણે આ મામલાની તપાસની માગ કરી હતી.
મુખ્યમંત્રી
ઓમર અબ્દુલ્લાએ જવાબ આપતા કહ્યું કે, સરકારે પહેલા જ આ મામલે તપાસના આદેશ આપી દીધા
છે. તેમણે સ્પષ્ટતા કરી કે, આ એક ખાનગી કાર્યક્રમ હતો અને તેના માટે સરકાર પાસેથી કોઈ
પરવાનગી લેવામાં નહોતી આવી.ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, ગુલમર્ગમાં આયોજિત આ ખાનગી કાર્યક્રમથી
લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ પ્રકારના કાર્યક્રમો ક્યારેય ન થવા જોઈએ. સરકારને
આ ફેશન શો સાથે કોઈ લેવાદેવા નથી. આયોજકોએ અમારી પાસેથી કોઈ પરવાનગી નહોતી લીધી. તે
એક સંપૂર્ણપણે ખાનગી કાર્યક્રમ હતો, જે હોટલની અંદર યોજાયો હતો. તેમણે કહ્યું કે, જો
આ ઘટનામાં કોઈ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે તો મામલો પોલીસને સોંપી દેવો જોઈએ.
આ વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP) એ સમગ્ર વિવાદને બિનજરૂરી ગણાવ્યો અને ગઈ, PDP અને કેટલાક ધાર્મિક નેતાઓ પર નિશાન સાધ્યું. ભાજપના
ધારાસભ્ય રણબીર સિંહ પઠાનિયાએ કહ્યું કે, કાશ્મીર ઘાટીમાં કટ્ટરતાની આગ ભડકાવવામાં
આવી રહી છે.